નાગપુરની એક અદાલતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને નોટિસ મોકલીને હાજર થવાનો આદેશ કર્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસની મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરતા આરએસએસના કાર્યક્રમમાં લાઠીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે વિજયાદશમીના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને આ વર્ષે નોબલ પુરષ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી મુખ્ય મહેમાન તરીકે સંઘ કાર્યાલયમાં આયોજીત સમારંભમાં સામેલ થયા હતા. ભાગવતને નાગપુરની ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે અગિયારમી ડિસેમ્બરે અદાલતમાં રજૂ થવા માટે તાકીદ કરી છે.
નાગપુરના વતની અરજદારની ફરિયાદને એક મેજિસ્ટ્રેટે ફગાવી દીધી હતી. બાદમાં અરજદારે સેશન કોર્ટમાં અપીલ કરી હતી. અંગ્રેજી અખબાર ટેલિગ્રાફમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અરજદાર મોહનીશ જીવનલાલ જબલપુરીએ જણાવ્યુ છે કે પોલીસે હથિયાર વગર પથસંચલનની મંજૂરી આપી હતી. આ રેલીમાં લગભગ સાતસો સ્વયંસેવકો લાઠીઓ સાથે સામેલ થયા હતા. તેના કારણે મંજૂરીની શરતોનું ઉલ્લંઘન થયું હતું. મહત્વપૂર્ણ છે કે સંઘ કાર્યકર્તાઓ દ્વારા નાગપુરના રેશિમબાગ મેદાન પર રેલી કાઢવામાં આવી હતી.