Aapnu Gujarat
બ્લોગ

અમદાવાદનું કર્ણાવતી : ભવ્ય ભૂતકાળ અને ચમકદાર વર્તમાન

યોગી આદિત્યનાથે નામ બદલવાનો સપાટો બોલાવ્યા પછી ગુજરાત ભાજપના નેતાઓને પણ દાયકાઓથી હાંસિયામાં ધકેલી દીધેલો મુદ્દો યાદ આવ્યો છે અને હવે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગેની ચર્ચાઓ ફરીથી જોર પકડી રહી છે. જોકે, અમદાવાદનું નામ બદલાવવામાં આવે તો શહેરને મળેલ હેરિટેજ સિટીના દરજ્જા સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ શકે છે. કારણ કે અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો, ઈમારતોમાં ઘણાં ખરાં મુસ્લિમ શાસકોના સમયમાં બંધાયેલા છે. એથી વિરુદ્ધ, કર્ણદેવ સોલંકીના વખતના બાંધકામો ભાગ્યે જ અસ્તિત્વ ધરાવે છે. આથી નામ બદલવાનો ઉત્સાહ ભારે પણ પડી શકે છે.નામ બદલવાની કવાયત જો થાય તો તેનો હેતુ માત્ર અને માત્ર ચૂંટણી જીતવા પૂરતો જ હશે. કારણ કે, એંશીના દાયકામાં સૌ પ્રથમ વખત આ માગણી ઊઠી હતી. એ મુદ્દા પર ભાજપે સૌ પ્રથમ વખત અ.મ્યુ.કો.માં સત્તા પણ મેળવી હતી. પરંતુ ત્યાર પછી એ મુદ્દો સદંતર વિસરાઈ ગયો હતો. હવે સતત ૧૩ વર્ષથી અ.મ્યુ.કો.માં ભાજપનું શાસન છે. રાજ્યમાં સતત ૨૫ વર્ષથી ભાજપ સત્તા પર છે અને કેન્દ્રમાં પણ સત્તા મેળવ્યાની પ્રથમ ટર્મ પૂરી થવા આવી છે.૨૮ વર્ષ અગાઉ ૧૯૯૦માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. પરંતુ તત્કાલીન સરકાર દ્વારા એ નામંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રમાં વાજપેયીની સરકાર આવી ત્યારે ફરીથી ઠરાવ મોકલવામાં આવ્યો હતો પરંતુ વર્ષ ૨૦૦૨માં વાજપેયી સરકારે પણ નામંજૂર કર્યો હતો. વર્ષ ૨૦૦૦-૨૦૦૫ની ટર્મ માટે કોર્પોરેશનમાં કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે અગાઉની બોડીએ પસાર કરેલ ઠરાવ રદ કરીને અમદાવાદનું નામ યથાવત જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.ગત વર્ષે જ અમદાવાદના સ્થાપત્યોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્ય વગેરે કારણોસર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શહેરને હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. આ દરજ્જો બે અલગ અલગ સંસ્કૃતિના સહઅસ્તિત્વ પર આધારિત હોય છે. સીદી સૈયદની જાળી, ઝુલતાં મિનારા, ત્રણ દરવાજા, ભદ્રકાળી મંદિર, જૂની હવેલીઓ વગેરે પૈકી મોટાભાગના સ્થાપત્યો મુસ્લિમ શાસકોના સમયમાં બનેલાં છે. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાથી સાંસ્કૃતિક સહઅસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થઈ શકે છે.યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યાના કેટલાંક કલાકો બાદ જ ગુજરાત સરકારે જાહેર કર્યુ કે જો લોકોનું સમર્થન મળ્યું અને કોઈ કાયદાકીય બાધા ન આવી તો અહમદાબાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની અમારી તૈયારી છે. ડૅપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે અહમદાબાદના લોકો કર્ણાવતી નામ પસંદ કરે છે. આવામાં ચર્ચા એવી છે કે કેટલાંક લોકો માને છે કે કર્ણાવતી નામ બદલાવવું જોઈએ તો કેટલાંક લોકોનું કહેવું છે કે અમદાવાદની હવે આ નામથી એક ઓળખ બની ગઈ છે ત્યારે તેને બદલવી ન જોઈએ. આ બધી વચ્ચે આખરે અહમદાબાદનું નામ કર્ણાવતી કેમ થાય તેવું ઇચ્છે છે. કેવી રીતે અહમદાબાદ નામ પડ્યું અને કેવી રીતે અહમદાબાદનું અમદાવાદ થઈ ગયું. આજે આપણે સમગ્ર ઇતિહાસને ફંફોડીશું અને કેટલીક અમદાવાદની અજાણ એવી વાતો જાણીશુંપ
ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.અહમદ શાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ (એલિસ બ્રીજ નો પૂર્વ છેડો) પાસે નાખ્યો. (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી. ઉલ્લેખનીય છે કે માણેક બુર્જ નામ ૧૫મી સદીના સુપ્રસિદ્ધ હિંદુ સંત માણેકનાથની યાદગીરીમાં આપવામાં આવ્યું છે, જેમણે ૧૪૧૧ના વર્ષમાં અહેમદ શાહને ભદ્ર ફોર્ટ બાંધવામાં વિક્ષેપ પણ પાડ્યો અને મદદ પણ કરી હતી. માણેક બુરજ અથવા માણેક બુર્જ ફાઉન્ડેશનના ગઢ ભદ્ર ફોર્ટના પાયાનું નિર્માણ છે.દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છેઃ જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું.મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહેલ બનાવડાવ્યો. જે હાલમાં સરદાર પટેલના મ્યુઝિયમ તરીકે છે.અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ ‘પૂર્વનું માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજે ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમદાવાદને યુનેસ્કો તરફથી ભારતના એકમાત્ર ‘હૅરિટેજ સિટી’નો દરજ્જો મળ્યો છે. ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે.રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થયો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે.અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી છે જેનાથી શહેરની રોનક બદલાઇ છે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે.સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.કસ્તુરભાઇ લાલભાઇ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ. ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન પણ અમદાવાદમાં આવેલ છે.
અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
નામ બદલવા માટે કરવી પડે આટલી કાર્યવાહી
* સૌ પ્રથમ ગુજરાત પ્રદેશ ભાજપે ઠરાવ પસાર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા ધરાવતા ભાજપ શાસિત મ્યુનિસિપલ બોર્ડને નામ બદલવા અંગે આદેશ કરવો પડે.
* ત્યારબાદ કોર્પોરેશનમાં ઠરાવ બે તૃતિયાંશ બહુમતિથી પસાર થાય એટલે રાજ્ય સરકારને મોકલવો પડે.
* રાજ્ય સરકારની ભલામણથી ઠરાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે.
* એ પછી કેન્દ્ર સરકાર દરેક સ્થિતિને ધ્યાનમાં રાખીને મંજૂરી આપે તો સત્તાવાર રીતે નામ બદલાય.

Related posts

MORNING TWEET

aapnugujarat

વિશ્વના કોઈ દેશ કરતા ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વધુ

aapnugujarat

नया उपभोक्ता संरक्षण कानून लागू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1