ગુજરાતમાં હાલમાં સોહરાબુદ્દીન-તુલસી કેસ એંકાઉન્ટર રાજકારણનું રૂપ લઈ રહ્યું છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. હાલમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટિ્વટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોકીદારનું સંબોધન કરીને પ્રશ્ન કર્યો છે કે, સોહરાબુદ્દીન મર્ડરની સોપારી પૂર્વ પોલીસ અધિકારીને કોણે આપી હતી?.
ધાનાણીએ સળગતો પ્રશ્ન પૂછીને એકવાર ફરીથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે.હવે પરેશ ધાનાણીએ પૂછેલા પ્રશ્નનો જવાબ તો એકમાત્ર સીબીઆઈ પોતાની તપાસ પૂરી કર્યા બાદ જ આપી શકે છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોવાના કારણે પણ પરેશ ધાનાણીએ આ પ્રશ્ન પૂછ્યો હોઈ શકે છે.
સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એંકાઉન્ટર કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગઇકાલે મુંબઇની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી આઝમ ખાને એક ઘટસ્ફોટ નિવેદન આપ્યું છે. આઝમ ખાને કોર્ટને કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ડી.જી.વણઝારાએ સોહરાબુદ્દીન શેખ દ્વારા કરાવી હતી.
સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા. સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી. તેણે જ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસીને પોતાની ફોઇના મલ્લાતલાઇમાં આવેલા મકાનની જગ્યામાં આશરો આપ્યો હતો. આ ત્રણેય લોકો અહીં જ રહેતા હતા.ઉલ્લેખનીય છે કે, જ્યારે સીબીઆઇ સોહરાબુદ્દીન-તુલસી એંકાઉન્ટર કેસની તપાસ કરી રહી હતી ત્યારે સીબીઆઇ ઇન્સ્પેક્ટર પવાર, વિશ્વાસ મીણા અને એનએસ રાજુએ અલગ-અલગ ત્રણવાર તેના સીઆરપીસીની કલમ ૧૬૧ હેઠળ નિવેદનો લીધા હતા અને આઝમ આ કેસનો એક માત્ર એવો સાક્ષી છે જેના સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ કોર્ટમાં બેવાર નિવેદન લેવાઇ ચૂક્યા છે.