ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સીઈઓ રાહુલ જોહરી પર લાગેલા યૌન શોષણના આક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગાંગુલીએ આ મામલે બીસીસીઆઈને એક ઈ મેલ કરીને જણાવ્યું છે કે મી ટૂ અભિયાન અંતર્ગત બોર્ડના સીઈઓ પર યૌનશોષણના આક્ષેપોથી બોર્ડની છબિ ખરડાઈ છે.બીસીસીઆઈની છબિને લઈને તેમણે કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના, સચિવ અમિતાભ ચૌધરી અને ટ્રેઝરર અનિરુદ્ધ ચૌધરીને ઈમેલ કર્યો છે. ગાંગલુીએ જણાવ્યું કે યૌન શોષણના આક્ષેપોમાં કેટલું તથ્ય છે, તેની જાણકારી નથી, પરંતુ આ મામલે જે રીતનું વલણ અપનાવવામાં આવ્યું છે તેનાથી બોર્ડની ઈમેજને ઝાટકો લાગ્યો છે. દેશમાં ક્રિકેટના કરોડો ચાહકોનો બોર્ડ પરથી વિશ્વાસ અને ક્રિકેટ પ્રત્યે પ્રેમ ઘટી ગયો છે.
પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ઈમેલમાં વધુમાં જણાવ્યું કે, ‘હું અત્યંત દુઃખ સાથે તમને લખી રહ્યો છું કે ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ કઈ દિશામાં જઈ રહ્યું છે. અમે દેશ માટે લાંબા સમય સુધી રમ્યા. અમારું જીવન હાર-જીતની આસપાસ ઘુમરાતું રહ્યું. બોર્ડની છબિ અમારી માટે સૌથી મહત્વપૂર્ણ છે. હું અત્યંત દુઃખ સાથે જણાવી રહ્યો છું કે વિતેલા કેટલાક સમયથી જે રીતે બોર્ડમાં અફરાતફરી થઈ રહી છે તેનાથી કરોડો પ્રશંસકોનો પ્રેમ અને વિશ્વાસમાં ઓટ આવી રહી છે.’
ગાંગુલીએ વર્તમાન સમયે બોર્ડના સંચાલન માટે નિયુક્ત કરાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનના સભ્યો વચ્ચે પણ મતભેદોનો આ ઈમેલમાં ઉલ્લેખ કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘કોચ માટેની પસંદગીમાં પણ સીઓએના બન્ને સભ્યોમાં મતમતાંતર છે. ક્રિકેટના નિયમોને ચાલુ સીઝનની વચ્ચે જ બદલવામાં આવ્યા. આવું અગાઉ ક્યારેય નથી બન્યું. કોચની પસંદગી અંગે મારો અનુભવ પણ નિરાશાજનક હતો.’ આ તમામ બાબતો પર પ્રકાશ ફેંક્યા બાદ ગાંગુલીએ દેશના ક્રિકેટ બોર્ડની સ્થિતિને સુધારવા તાત્કાલિક અસરકારક પગલાં લેવા માટેની પણ માગ કરી હતી.