કાશ્મીર ખીણમાં થયેલી જુદી જુદી ઘટનાઓના વિરોધમાં કટ્ટરપંથી સંગઠનો દ્વારા આજે શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં બંધનુ એલાન આપવામાં આવ્યું હતુ. બંધના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી . કટ્ટરપંથીઓના પ્રભાવવાળા વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. બંધ દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બનતા તંત્રએ રાહત અનુભવી હતી. અલબત્ત તમામ જગ્યાએ ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ સેવા બંધ રાખવામાં આવી હતી. બંધને ધ્યાનાં લઇને સુરક્ષા સંસ્થાઓ દ્વારા તમામ પ્રભાવિત જિલ્લામાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા. બંધ દરમિયાન કોઇ પણ પ્રકારની અફવાને ટાળવા માટે પણ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. કાશ્મીર ખીણ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થિતી વણસી ગઇ છે. ગઇકાલે રવિવારના દિવસે ત્રણ મોટી ઘટના બની હતી. જેમાં ચાર જવાનો, સાત નાગરિકોના મોત થયા હતા. ઉપરાંત પાંચ ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારી મુનીર અહેમદ ખાને કહ્યુ છે કે એકન્કાઉન્ટર સ્થળ પર ન જવા માટે સ્થાનિક લોકોને વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં લોકો પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો વાત નહીં માનીને લારનુ એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થતા સાત લોકોના મોત થઇ ગયા હતા. જ્યાં સુઘી જમ્મુ કાશ્મીર પોલીસ સંપૂર્ણ પણે તપાસ ન કરી લે ત્યાં સુધી એન્કાઉન્ટરના સ્થળ પર ન જવા માટે સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે. ખીમાં બંધના એલાનના કારણે કોઇ પણ હિંસા ન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા હતા.