મધ્યપ્રદેશમાં ભાજપના ૧૫ વર્ષના શાસનને કોંગ્રેસ તરફથી મળી રહેલા પડકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે ત્રણ ઉમેદવાર છે જે એકબીજાના પગ ખેંચી રહ્યાં છે, તેમની પાસે રાજ્યને લઇને કોઇ વિચાર નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ‘મારો બૂથ, સૌથી મજબૂત’ અભિયાન હેઠળ હોશંગાબાદ, ચત્રા, પાલી, ગાજીપુર અને ઉત્તરી મુંબઅના ભાજપના બૂથ કાર્યકર્તાઓને નમો એપ દ્વારા સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ૩-૩ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે જ્યારે અન્ય એક ડઝનથી વધારે લાઇનમાં ઉભા છે.કોંગ્રેસ પાસે વિકાસને લઇને કોઇ રણનીતિ છે કે ના તો તેમની ચાહત છે. કોંગ્રેસમાં માત્ર ને માત્ર એક બીજાના પગ ખેંચતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ સરકારના કાર્યની પ્રશંસા કરી હતી.પીએમ મોદીએ કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણની સરકારે રાજ્યને ‘બિમારું’ માંથી ‘બેમિસાલ’ બનાવી દીધું. પરંતું કોંગ્રેસના નેતાઓ આ ઉપલબ્ધિને નીચુ બતાવવા પાકિસ્તાન અને બાંગ્લાદેશના ફોટોઓનો ઉપયોગ કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે રાજ્યમાં ચૂંટણીલક્ષી કોઇ મુદ્દો નથી, જ્યારે રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યોથી તેઓમાં નિરાશા દેખાઇ રહી છે.