દેશમાં ક્રૂડ ઓઇલની મોટાપાયે આયાત કરવાને કારણે ભારત આર્થિક કટોકટીનાં સંકટનો સામનો કરી રહ્યો છે તેમ કેન્દ્રના માર્ગપરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. ડોલર સામે રૂપિયાનાં મૂલ્યમાં સતત થઈ રહેલો ઘટાડો તેમજ વેપારખાધમાં વધારાને કારણે આ સંકટ ઘેરું બની રહ્યું હોવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.ગુરુવારે રૂપિયામાં સતત બોલાતો કડાકો, વેપારખાધ તેમજ રાજકોષીય ખાધ વધવાનાં કારણો અને ઉપાયો ચર્ચવા માટે યોજાયેલી મહત્ત્વના પ્રધાનોની બેઠક પહેલાં ગડકરીએ બે ટીવી ચેનલો સાથેની વાતચીતમાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
છેલ્લા કેટલાક મહિનાથી વિશ્વબજારમાં ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે જેને પરિણામે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. બંને ઈંધણ મોંઘાં થતાં આમ આદમીની કમર તૂટી ગઈ છે, ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં બજેટ ખોરવાઈ ગયાં છે.ભારત વિશ્વમાં ક્રૂડઓઇલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે જે તેની ૮૦ ટકા જરૂરિયાત જુદા જુદા દેશોમાંથી ક્રૂડની આયાત દ્વારા પૂરી કરે છે. આ વર્ષની શરૂઆતથી ડોલર સામે રૂપિયો ૧૩ ટકા તૂટતાં સરકારનાં ક્રૂડનાં આયાતબિલમાં જંગી વધારો થયો છે. અધૂરામાં પૂરું વિશ્વબજારમાં ક્રૂડના ભાવ ૪ વર્ષની ઊંચી સપાટી તોડીને બેરલદીઠ ૮૫ ડોલરને પાર જતાં બળતામાં ઘી હોમાયું છે.રૂપિયાની નરમાઈ, ક્રૂડઓઇલના ભાવમાં વધારો તેમજ રૂપિયાની ખરાબ સ્થિતિને કારણે ભારતીય શેરબજારમાં ગુરુવારે પ્રારંભમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ આખરે ૮૦૬ પોઇન્ટના કડાકે બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો ૪૩ પૈસા ગગડીને રૂ. ૭૩.૭૭ની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો.
પાછલી પોસ્ટ