Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખાંડ ઉદ્યોગ માટે ૫૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ મંજુર

કેન્દ્રીય કેબિનેેટની આજે મહત્વપૂર્ણ બેઠક થઇ હતી જેમાં શેરડી, રેલવે, હોટલ સહિત અનેક મુદ્દા ઉપર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
નાણાં મંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય કેબિનેટના નિર્ણયના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં વધારાના ખાંડ ઉત્પાદનને ધ્યાનમાં લઇને કેબિનેટે એક વિસ્તૃત પોલિસીને મંજુરી આપી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ગયા વર્ષે અને આ વર્ષે શેરડીનું ઉત્પાદન ખુબ વધારે થયું છે જેથી આ ખુબ મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ જાહેરાતોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ખાંડ ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ ખાંડ મિલો અને ટ્રાન્સપોર્ટ, હેન્ડલિંગ જેવા ખર્ચ માટે ખાસ રીતે નિકાસમાં મદદ કરવામાં આવશે. આની સાથે સાથે સુગર ઇન્ડસ્ટ્રીને ૫૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પટણામાં ડોમેસ્ટિક ટર્મિનલ બનાવવાને મંજુરી આપવામાં આવી છે. આના ઉપર અંદાજિત ખર્ચ ૧૨૧૬.૯૦ કરોડ રૂપિયા રહેશે. જેટલીએ કહ્યું હતું કે, કેટલીક એવી હોટલો હતી જે બનતા બનતા રોકાઈ ગઈ હતી. પટણામાં પાટલીપુત્ર અશોક હોટલ અને ગુલમર્ગમાં અધુરી રહી ગયેલી હોટલને રાજ્ય સરકારને પરત કરી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જીએસટી નેટવર્કને ૧૦૦ ટકા સરકારી કંપની બનાવવાના પ્રસ્તાવને પણ મંજુરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટી નેટવર્ક યુપીએ સરકારના ગાળામાં બની હતી. તે વખતે ૪૯ ટકા સરકાર અને ૫૧ ટકા નાણાંકીય સંસ્થાઓની હિસ્સેદારી હતી. આ કંપની પ્રાઇવેટ ગણાતી હતી જ્યારે ૪૯ ટકા હિસ્સામાં કેન્દ્ર અને રાજ્યોનો હિસ્સો હતો. હવે તે ૧૦૦ ટકા કંપની બની જશે. છત્તીસગઢમાં કથગોરાથી લઇને દોનગઢ સુધી રેલવે લાઈનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે આ સમજૂતિ કરવામાં આવી છે. ૨૯૪ કિલોમીટર લાંબી લાઈન ઉપર ૫૯૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજસ્થાન અને પંજાબ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. સરહિંદ ફીડર કેનાલ અને રાજસ્થાન ફીડર કેનાલની રિલાઈનિંગ માટે ૮૨૫ કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતાની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારા માટે વટહુકમને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ પહેલાથી જ લીલીઝંડી આપી દીધી છે. બીજી બાજુ મંત્રીમંડળે નવી દૂરસંચાર નીતિને પણ મંજુરી આપી છે. દૂરસંચાર ક્ષેત્રમાં ૨૦૨૦ સુધી ૧૦૦ અબજ ડોલરનું નવું રોકાણ થવા અને ૪૦ લાખ નવી રોજગારીની તકો સર્જાશે. કેબિનેટે નવી નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી અને ટેલિકોમ કનેક્શનને ફરી ડિજિટલ કોમ્યુનિકેશન બનાવવાને મંજુરી આપી દીધી છે. જેટલીએ સરકાર યોજનાઓની જાહેરાત કરી હતી. સરકારે ખાંડ ઇન્ડસ્ટ્રી માટે ૪૫ અબજના નાણાંકીય પેકેજને મંજુરી આપી હતી. વૈશ્વિક કિંમતો ઓછી હોવાથી મંત્રાલય દ્વારા પાંચ મિલિયન ટન સુધી ખાંડની નિકાસ કરવા માટે મિલોને સહાય કરવા નિર્ણય કર્યો છે. પરિવહન સબસિડી પણ આપવામાં આવશે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ખાદ્યાન્ન મંત્રાલયની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં ખાંડના વધારે પડતા જથ્થાનો યોગ્ય ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ૧૩૦ અબજ રૂપિયામાં જંગી શેરડી એરિયર્સને દૂર કરવા મિલોની મદદ કરવાની વાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં શેરડીના ખેડૂતોની તકલીફને દૂર કરવા માટે એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ખાંડ ઇન્ડસ્ટ્રી માટે બીજા નાણાંકીય પેકેજની આજે જાહેરાત કરવામાં આવી હતી. ૫૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની આજે જાહેરાત કરવામાં આવી હતી.
આ પહેલા પણ શેરડી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉત્તરપ્રદેશમાં આનાથી ફાયદો થઇ શકે છે. જૂન મહિનામાં ૮૫ અબજ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રી સામે જટિલ સમસ્યા થયેલી છે. કારણ કે, ૨૦૧૭-૧૮માં માર્કેટિંગ વર્ષમાં ૩૨ મિલયન ટનનું રેકોર્ડ ખાંડ ઉત્પાદન થયું હતું. સતત રેકોર્ડ ઉત્પાદનના પરિણામ સ્વરુપે ખાંડ ઇન્ડસ્ટ્રી સામે તકલીફ આવી ગઈ હતી. મંત્રાલય દ્વારા શેરડીના સંદર્ભમાં ખાસ રજૂઆત કરવામાં આવી હતી. મંત્રાલય દ્વારા પાંચ મિલિયન ટન ખાંડની નિકાસ કરવા મિલોને મંજુરી આપવા તૈયારી દર્શાવી છે. સુત્રોએ કહ્યું છે કે, મંત્રાલય દ્વારા બંદરથી ૧૦૦ કિલોમીટરની અંદર સ્થિત મિલો માટે ૧૦૦૦ રૂપિયા પ્રતિ ટનની પરિવહન સબસિડીની વાત કરી હતી જ્યારે દરિયાકાંઠાના રાજ્યોમાં બંદરથી ૧૦૦ કિલોમીટરના અંતર સ્થિત મિલો માટે ૨૫૦૦ રૂપિયા પ્રતિટનની દ્રષ્ટિએ પરિવહન સબસિડીની વાત કરી હતી જ્યારે દરિયાકાંઠાના રાજ્યો કરતા અન્યત્ર સ્થિત મિલો માટે પ્રતિ ટન ૩૦૦૦ રૂપિયાની પરિવહન સબસિડીની દરખાસ્ત રજૂ કરાઈ હતી.
વર્તમાન વર્ષની જેમ જ ઉત્પાદન સહાયતા સીધીરીતે શેરડીના ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. સરકાર ખાંડ મિલોને મદદ કરવા અને ખેડૂતોને મદદ કરવા વિવિધ પગલા લેવા જઈ રહી છે. આના લીધે સરકાર ઉપર ૪૫ અબજ રૂપિયાનો બોજ આવશે. ભારતમાં ખાંડ ઉત્પાદન આગામી માર્કેટિંગ વર્ષમાં ૩૫ મિલિયન ટન સુધી પહોંચી શકે છે જે વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૨ મિલિયન ટન રહ્યું હતું. વાર્ષિક સ્થાનિક માંગ ૨૬ મિલિયન ટનની રહી છે.

Related posts

મુંબઈના દરિયામાં ડીઝલની દાણચોરી, ૨૦,૦૦૦ લિટર ડીઝલ જપ્ત કરાયું

aapnugujarat

चीन ने भारत की उत्तरी सीमा पर 60000 सैनिक किए तैनात

editor

સંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી,રામ મંદિર પર કાયદો લાવશે મોદી સરકાર?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1