ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને ‘આપણું ગુજરાત’ સાપ્તાહિકનાં સહતંત્રી ભાવેશ વર્માએ નડાબેટ ખાતે ઝીરો પોઈન્ટ સરહદની મુલાકાત લીધી હતી. હાલમાં ગુજરાત સરકાર તરફથી ઝીરો પોઈન્ટ બોર્ડર સુધી પ્રવાસીઓને પરમિશન લીધાં પછી જવાની છૂટ આપવામાં આવી છે જેનાં કારણે અનેક પ્રવાસીઓનો આપણાં દેશની બોર્ડર જોવાની જે ઈચ્છા હોય છે તે પૂરી થઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો નળાબેટ ખાતે આવેલ નાડેશ્વરી માતાનાં મંદિરે દર્શન કરી ત્યાં નજીકમાં જ બનાવેલ લશ્કરી સાધનોનું પ્રદર્શન આમ જનતા માટે ખુલ્લું મૂકેલ છે. પ્રદર્શન જોઈને પણ નાગરિકોને ખ્યાલ આવે છે કે આપણાં જવાનો કેવાં – કેવાં હથિયારોથી આપણાં દેશની ચોકી કરે છે અને દુશ્મનોનો સામનો કરે છે. ઝીરો પોઈન્ટ બોર્ડર પર આવનાર પ્રવાસીઓ માટે એક નાનું શામિયાણુ બાંધવામાં આવે છે અને બેસવા માટે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આવનાર લોકો દેશની સીમાને સારી રીતે જોઈ શકે. આપણાં દેશની બોર્ડરથી ૧૫૦ મીટર દૂર પાકિસ્તાનની સીમા આવેલી છે અને વચ્ચે ખુલ્લી જગ્યા છે પરંતુ નડાબેટની આજુબાજુ બિલકુલ ખુલ્લી જગ્યામાં પાણી સૂકાઈ જતાં મીઠાંના થર જોવા મળે છે. આવનાર પ્રવાસીઓ માટે તો ત્યાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ત્યાં ખડાપગે દેશની રખેવાળી કરતાં જવાનો માટે પણ કેટલીક વિશેષ સુવિધાઓ તેમને આપવાની જરૂરિયાત છે.રાજ્યનાં ગૃહમંત્રીએ પણ સીમાની મુલાકાત લઈ ત્યાંના જવાનોને સાંભળી તેમની જે આવશ્યક્તાઓ છે તે પૂરી કરવી જોઈએ તેવું ‘આપણું ગુજરાત સાપ્તાહિક’નાં સહતંત્રી ભાવેશ વર્માએ જણાવ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ