શહેરના રતનપોળમાં આંગડિયા પેઢીનો મેનેજર આંગડિયા પેઢીમાંથી કુલ રૂ.૧.૧૩ કરોડની ઉચાપત કરી ફરાર થઇ ગયો હોવાની ઘટના બની છે. સંબંધીની ખબર કાઢવાના બહાને માલિકને ફોન કરી પેઢી બંધ કરી નાસી છૂટ્યો છે. મેનેજર રૂ.૮૧.૬૧ લાખની રોકડ ભરેલા જુદાં જુદાં પ૦ પાર્સલ, ર૩.૪૦ લાખનાં સોનાનાં પાર્સલ અને રૂ.૭.પ૦ લાખની રોકડ રકમની ઉચાપત કરી હોઇ આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. કાલુપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. શહેરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પેઢીમાંથી રોકડ રકમ તેમજ લાખો-કરોડો રૂપિયાનાં પાર્સલોની ચોરી તેમજ ઉચાપતના બનાવો સામે આવે છે.
દરરોજ કરોડો રૂપિયાના આંગડિયા પેઢીના માલિકો તેમના કર્મચારીઓ પર વિશ્વાસ રાખી કરોડો રૂપિયાની મતા તેમને સોંપે છે પરંતુ કેટલાક લાલચુ કર્મચારીઓ આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી લાખોની ઉચાપત કરી ફરાર થઇ જાય છે. આવો જ એક બનાવ આજે શહેરના રતનપોળમાં આવેલી આંગડિયા પેઢીમાં બન્યો છે.
મહેસાણા જિલ્લાના વીસનગરમાં જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા બળદેવભાઇ રબારીની રતનપોળમાં દૂધિયા બિલ્ડિંગમાં મેસર્સ પટેલ પ્રવીણભાઇ ઇશ્વરભાઇ નામની આંગડિયા પેઢી આવેલ છે. આ પેઢીની અમદાવાદ, સુરત, રાજકોટ, ડીસા, પાલનપુર, મહેસાણા, વીસનગર, ઇડર જેવાં શહેરોમાં બ્રાંચો આવેલી છે. અમદાવાદની રતનપોળમાં આવેલી શાખામાં કુલ આઠ વ્યકિતઓ કામ કરે છે. મહેસાણાના ગોકળગઢ ગામમાં રહેતા અરવિંદભાઇ ગાંડાભાઇ પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. અરવિંદભાઇ પેઢીમાં આવતાં પાર્સલોની નોંધ કરી તેનો હિસાબ રાખતા હતા. બળદેવભાઇએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરવિંદ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ