શેરબજારની તેજીએ ચાર ચાંદ લગાવી દીધાં છે, પણ રોકાણકારોના મોઢા પર કોઈ નૂર દેખાતું નથી. શેરદલાલો પણ સેન્સેક્સ અને નિફટીના રેકોર્ડ હાઈ જોઈને ખુશખુશાલ રહે છે, પણ જામતું નથી, એવો શબ્દ તો આવે જ છેપ આવું કેમ? શેરબજારની તેજી બ્રોડબેઈઝ તેજી નથી. સેન્સેક્સ માત્ર ૩૦ શેર અને નિફટી માત્ર ૫૦ શેર આધારિત શેરોમાં તેજી થાય તેને તેજી કહેવાય? તમે શું કહેશો? ફ્રન્ટલાઈનના સ્ટોક અને સ્ટોક સ્પેસિફિક તેજીનો જમાનો આવ્યો હોય તેમ જણાય છે. તો પછી હવે રોકાણકારોએ સ્ટ્રેટેજી બદલવી પડશે તો જે તે શેરબજારમાંથી રૂપિયા કમાઈ શકશે.૨૧ ઓગસ્ટને મંગળવારે સેન્સેક્સ પહેલી વાર ૩૮,૪૦૦ની સપાટી પાર કરીને ૩૮,૪૦૨.૯૬ ઑલ ટાઈમ હાઈ થયો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સે મંગળવારે ૧૧,૫૮૧.૭૫ લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. શેરબજારમાં તેજી થવા પાછળ કારણોની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, ટ્રેડવૉર પછી અમેરિકા અને ચીન વચ્ચે બુધવાર અને ગુરુવારે બિઝનેસ મીટિંગ થવાની છે. જેમાં કોઈ સુખદ ઉકેલ મળે તેવી શકયતા જોવાઈ રહી છે, જે આશાવાદ પાછળ જ શેરબજારમાં સોમવાર અને મંગળવારે નવી લેવાલી આવી હતી, અને સ્ટોક માર્કેટના સેન્સેક્સ અને નિફટી વધુ વધીને રેકોર્ડ હાઈ થયા હતા.આમ જોવા જઈએ તો સ્ટોક માર્કેટમાં તેજી થવા પાછળ તમામ પેરામીટર્સ પોઝિટિવ છે, માત્ર ડૉલર સામે રૂપિયો નબળો હતો, પણ હવે તે મજબૂત થઈ રહ્યો છે. જો કે ટ્રમ્પની પૉલીસીને કારણે વિદેશી રોકાણકારો પોતાનું રોકાણ પાછુ ખેંચી રહ્યા છે, પણ ભારતમાં વિદેશી રોકાણ વધુ વળતર આપશે તેવી ધારણા હોવા છતાં એફઆઈઆઈ ટ્રમ્પનીનીતિને કારણે અવઢવમાં છે. અને આથી જ એફઆઈઆઈ ભારતીય સ્ટોક માર્કેટમાં નેટ સેલર થયા છે. તો સામે સ્થાનિક નાણા સંસ્થાઓની નવી ખરીદી ચાલુ રહી છે. કારણ કે દર મહિને મ્યુચ્યુઅલ ફંડોમાં નવી એસઆઈપી દ્વારા નવું રોકાણ આવી રહ્યું છે. જેથી ફંડોએ સ્ટોક માર્કેટમાં દર મહિને નવું રોકાણ કરવું જ પડે છે. આમ શેરબજારમાં લીકવીડીટી વધી છે. નેગેટિવ કારણ આવે તેમ છતાં શેરબજારમાં તેજી વધુને વધુ આગળ વધી રહી છે. હવે આ તેજી કેટલી આગળ વધશે તે તો કોઈ ભવિષ્ય ભાખી શકે તેમ નથી. પણ શેરબજારમાં લીકવીડીટી જ્યા સુધી આવ્યા કરશે ત્યાં સુધી શેરબજારમાં તેજીનો તોખાર ચાલુ રહેશે.પહેલી વખત એવું બન્યું છે કે એફઆઈઆઈ નેટ સેલર હોવા છતાં સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની નવી ખરીદીથી શેરબજારમાં તેજીનો મુડ રહ્યો છે. નહી તો દર વખતે શેરબજારની તેજીની ડ્રાઈવિંગ સીટ પર એફઆઈઆઈ જ બેસતી હતી. પણ હવે સ્થાનિક ફંડો એફઆઈઆઈ જેટલા જ મજબૂત થયા છે.હવે વાત કરીએ શેરબજારની ભાવી ચાલનીપ આ તેજી કેટલી આગળ વધશે? ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપને કેટલી બેઠકો મળશે? સ્પષ્ટ બહુમતી મળશે કે નહી? ટ્રમ્પની વિદેશ નીતિ ભારતને કેટલી ફાયદાકારક રહેશે? ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા પછી ભારત પાકિસ્તાનના સંબધો કેવા રહેશે? ડૉલર સામે રૂપિયો વધુ તૂટશે તો નહી ને? આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ વધશે તો? આવા બધા અનેક પ્રશ્નો આપણી સામે છે. આનો જવાબ તો ભવિષ્ય જ આપી શકે.હાપ એટલું ચોક્કસ છે કે હવે પછી શેરબજારની નવી તેજીમાં અનેક અડચણો છે, તેમાં રોકાણકારોએ સાવચેત રહીને અને માર્કેટનો મૂડ જોઈને જ રોકાણ કરવા સલાહ છે. અન્યથા નફો પણ બુક કરવો જોઈએ. જે રોકાણકારને ૧૦થી ૨૦ ટકા વળતર મળી રહ્યું છે, તેમણે તો અવશ્ય નફો બુક કરવો જોઈએ. કારણ કે સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ પર છે. જો સેન્સેક્સ અને નિફટી તૂટવા શરૂ થશે તો પછી સેકન્ડ હરોળના શેરના ભાવ કેટલા તૂટશે તે હાલ કહેવું મુશ્કેલ છે. અને આપણે ભુતકાળમાં જોયું છે કે માર્કેટ તૂટે ત્યારે કોઈ ટેકો આપવા આવતું નથી. રોકાણકારોનો તો ખો જ નીકળી જતો હોય છે.હાલ સ્ટોક માર્કેટની તેજી બ્રોડબેઈઝ નથી, માત્ર સેન્સેક્સના ૩૦ શેર અને નિફટીના ૫૦ શેર પુરતી જોવાઈ રહી છે. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી કયારે થશે? રોકાણકારોનું રોકાણ મીડકેપ અને સ્મોલકેપમાં વધારે છે. જો આ સ્ટોકમાં તેજી થાય તો જ શેરબજારમાં સાચી તેજી થઈ કહેવાશે. રોકાણકારોએ સાવધ તો રહેવા જેવું છે.
સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ હાઈ જોઈને નવું રોકાણ ન કરવું જોઈએ. માર્કેટની દિશા કયારે બદલાશે તે કહી શકાય નહી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માથે છે, જેથી સટોડિયા પણ સ્ટોક માર્કેટમાંથી ધીમેધીમે બહાર નીકળી રહ્યા છે. મોટાભાગના સટોડિયાના ઓળિયા હવે સુલટાશે, હાથીઓની લડાઈમાં સામાન્ય રોકાણકારોનો ખુરદો ન બોલાય તે માટે સાવચેતી સાથે નવું રોકાણ કરવું. નવા રોકાણમાં ખુબ જ સાવધ રહેવું. બે પ્રકારના નાણાકીય રોકાણ હોય છે, ઈક્વિટી અને ફિક્સ ઇન્કમ(ડિપોઝિટ, બોન્ડ વિગેરે). બીજું, ઈક્વિટી સંભવિત રીતે વધારે ઊંચું જોખમ અને લાભ ઓફર કરે છે જ્યારે ફિક્સ ઇન્કમમાં ફાયદો નીચો હોય છે પરંતુ તેમાં અસ્થિરતા પણ ઓછી હોય છે.
તમારી પ્રાથમિકતા અનુસાર તમારે ચોક્કસ રેશિયોમાં ઈક્વિટી તથા ફિક્સ ઇન્કમમાં રોકાણ કરવું જોઈએ. આ રેશિયોને એસેટની ફાળવણી કહેવામાં આવે છે. વિવિધ સમયે ઈક્વિટી તથા ફિક્સ ઇન્કમનો લાભ વિવિધ દર પર હોય છે તેથી એસેટ્સની ફાળવણીમાં પરિવર્તન લાવવું જોઈએ. તે ફાળવણીને જાળવવા માટે આ બન્ને વચ્ચે નાણાને તબદીલ કરવામાં આવે છે તેને રિબેલેન્સિંગ કહેવાય છે.અસંકામતોની પુનઃસમતુલાનો અર્થ એવો થાય છે કે ઈક્વિટી વિરૂદ્ધ ફિક્સ તરીકે જોવાના બદલે બ્લેક વિરૂદ્ધ વ્હાઇટ દ્વિગુણી પસંદગી તરીકે જોવાઇ રહ્યું છે, ત્યારે તમે તેને શેડ ઓફ ગ્રે તરીકે જુવો છો. દરેક વર્ષે એકવાર તો તમારે તમારા પોર્ટફોલિયોને રિબેલેન્સ કરવો જોઈએ. તેનો અર્થ એ થાય કે જો વાસ્તવિક સંતુલન તમારા ઈચ્છીત સંતુલનથી ડગી જાય તો તેટલી ટકાવારી ફરીથી યથાવત કરવા માટે તમારે તમારા નાણા એકમાંથી બાજામાં તબદીલ કરવા જોઈએ.જ્યારે ઈક્વિટી ફિક્સ આવક કરતાં વધારે ઝડપથી વૃદ્ધિ કરતી હોય ત્યારે તમારે સમયાંતરે થોડા ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટને વેચવું જોઈએ તથા તે નાણા ફિક્સ ઇન્કમમાં રોકવા જોઈએ કે જેથી સંતુલન પુનઃ સાધી શકાય. જ્યારે પણ ઈક્વિટીમાં ઘટાડો શરૂં થાય ત્યારે તમારે સમયાંતરે થોડું ફિક્સ ઇન્કમ રોકાણ વેચવું જોઈએ અને તે નાણાને ઈક્વિટીમાં મૂવ કરવા જોઈએ.આ બાબત સુંદર રીતે નફો બૂક કરવાના તથા ઘટેલી અસ્કામતોમાં રોકાણ કરવાના મૂળભૂત વિચારનો અમલ કરે છે. અનિવાર્યરૂપે પરિસ્થિતિ બદલાય જ છે અને તેનો અર્થ એ થાય કે જ્યારે પણ ઈક્વિટી આઉટપરફોર્મ કરતી થાય ત્યારે તમે તેમાંથી તમારો કેટલોક નફો કાઢી લો અને પચી તેને સલામત અસ્કામતમાં રોકી દો.આવું કામ શા માટે કરવું જોઈએ? બે પ્રકારની ફાઇનાન્સિયલ અસ્કામતો-ઈક્વિટી અને ફિક્સ ઇન્કમ- ફક્ત અલગ નથી પરંતુ પુરક છે. એવા પ્રકારના ફક્ત ત્રણ માર્ગો છે કે જેમાં રોકાણથી નાણા ઊભા થાય છે. એક, કોઇને નાણાનું ધિરાણ કરો અને તે વ્યાજરૂપે તેના પર નાણા ચુકવે. બીજું, એક બિઝનેસના ભાગીદાર બનવું અને ત્રણ, એવી કોઇક વસ્તુની ખરીદી કરવી કે જે વધારે કિંમતી બની શકે, જેમ કે સોનું અથવા રિયલ એસ્ટેટ.આ તમામ બાબતોનો લાભ લેવો અને સાથે નાણાનું રક્ષણ કરવાનો સારામાં સારો માર્ગ ઈક્વિટી તથા ડેટ વચ્ચેનું સંતુલન સાધવા માટેની ટકાવારી નક્કી કરવાનો છે તથા સમયાંતરે નાણાને એકમાંથી બીજામાં તબદીલ કરવાની બાબતને વળગી રહેવાનો છે, જે ઊંચું ગયું છે તેમાંતી નાણા ઉપાડીને જે નીચું ગયું છે તેમાં નાણા તબદીલ કરવાના છે.તેની અસર લગભગ જાદુઇ છે. અસ્થિરતા કે જે ઈક્વિટી રોકાણમાં ડરાવનારી બાબત છે તેને ઘટાડી શકાય છે તથા તેની સામે વળતરને ભાગ્યે જ નુકસાન થાય છે. અને તેમ છતાં તે એવું લાગે છે કે તેનો અમલ કરવો મુશ્કેલ છે. એટલું જ નહીં, આ વર્ષથી શરૂઆત કરીએ તો તે વધારે કર સક્ષમ પણ નથી.
આગળની પોસ્ટ