Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલ અને સમર્થકોની અટકાયત

આગામી તા.૨૫મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટેની તંત્ર દ્વારા મંજૂરી નહી મળતાં પાટીદાર યુવા નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પોલીસની અધિકૃત મંજૂરી વિના જ આજે શહેરના નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું પરંતુ પ્રતિક ઉપવાસ પહેલાં જ પોલીસે નિકોલ જવા નીકળેલા હાર્દિક પટેલ અને તેના સંખ્યાબંધ સમર્થકોની અટકાયત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહી, પોલીસ સાથે ઘર્ષણ અને શાબ્દિક ટપાટપી બાદ ક્રાઇમબ્રાંચે હાર્દિક પટેલ સહિત કુલ નવ જણાં સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તણૂંકનો ગુનો દાખલ કર્યો હતો. જેને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ક્રાઇમબ્રાંચ દ્વારા જે પાટીદાર આગેવાનો સામે ગુનો દાખલ કરાયો છે , તેમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, મનોજ પાનારા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ અને જતીન સિરોયાનો સમાવેશ થાય છે. આ તમામ આગેવાનો સહિત ૪૦ પાટીદાર યુવકોની અટકાયત બાદ પાટીદાર સમાજના યુવકો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ક્રાઇમબ્રાંચની બહાર એકત્ર થઇ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયુ હતું. પોલીસની ભૂમિકાથી નારાજ પાટીદાર સમાજના લોકોએ હાર્દિકના સમર્થનમાં અને પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી વાતાવરણ ગજવી મૂકયું હતું. પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના જોરદાર નારાઓ પણ લગાવ્યા હતા. આજના પ્રતિક ઉપવાસ માટે નિકોલ જવા નીકળતા હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન તેના સમર્થકોએ જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. પરંતુ ત્યારબાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી. દરમ્યાન અટકાયત પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. મારા ઘર બહાર પોલીસનો કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતું હું ચોક્કસ ઉપવાસ કરીશ. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે ૫૦૦ જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે ૩૦૦ જેટલા કાર્યકર્તાઓની અત્યારથી જ અટકાયત કરી લીધી છે. અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા પરંતુ અમે અમારા હક્ક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે. નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે.
દરમ્યાન હાર્દિકે ટિ્‌વટ કરીને કહ્યું કે, પોલીસે ૧૩૦ વધુ લોકોની અટકાયત કરી છે. જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી ૫૮ લોકો, રાજકોટથી અમદાવાદ આવતા ૨૬ની ચોટીલામાંથી અટકાયત કરાઈ છે. જ્યારે તેના નિવાસસ્થાને તેના સહીત ૫૮ લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે અને મારા ઘરે ૨૦૦ પોલીસ કર્મી ગોઠવવામાં આવ્યા છે. જો કે, હાર્દિક પટેલ અને તેના સમર્થક આગેવાનોની અટકાયતને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તો બીજીબાજુ, પોલીસ અને તંત્ર દ્વારા અગમચેતીના પગલારૂપે તમામ પ્રકારની તકેદારી રખાઇ છે.
૨૫મીએ ધરપકડ કરાશે તો, સ્થિત બગડશે : હાર્દિક
પાસ કન્વીનર હાર્દિક પટેલ ૨૫મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. આ દરમિયાન હાર્દિકે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, જો ૨૫ ઓગસ્ટના રોજ અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકવામાં આવશે તો અમદાવાદ,સુરત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે ! હાર્દિકે ઉપવાસ આંદોલન માટે મંજૂરી ન મળવાને લઈ જણાવ્યું કે, તા.૨૫મી ઓગસ્ટ માટે અમને કેમ પરમીશન નથી આપતા? પોલીસ અમને ખોટી રીતે હેરાન કરી રહી છે. મારા ઘર આગળ પાછળ ૨૦૦ થી વધારે પોલીસનો કાફલો મૂકી દેવાયો છે. અમે ખેડૂતોની માંગણીઓ અને પાટીદાર સમાજ માટે આરક્ષણની માંગ કરી રહ્યા છીએ અને અમે બંધારણીય રીતે ઉપવાસ કરવા માંગીએ છીએ. હાર્દિકે આજની ધરપકડ અંગે વધુમાં કહ્યું કે, જો આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ માટે ગુજરાતભરમાં ધરપકડ થઈ હોય તો શું તા.૨૫ ઓગસ્ટ માટે બસોની બસો ભરીને આવતા ટેકેદારોની ધરપકડ કરશે આ સરકાર? જો અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકાશે તો અમદાવાદ, સુરત જેવા સેન્સીસીટીવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે! દરમ્યાન પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, આજે પાટીદાર સમાજની અનામતની માંગણીને લઈ ઉપવાસની જાહેરાત બાદ ગ્રાઉન્ડ ફાળવણી મુદ્દે આંદોલનકારીઓની ધરપકડ કરતા પહેલા પોલીસ તંત્ર ૧૦૦ વાર વિચારે, હાર્દિકની ધરપકડ કરીને સરકાર પોતાની નબળાઈ છતી કરી રહી છે,એ જ પાટીદારોની જીત છે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Related posts

SOU પ્રવાસીઓ માટે પાંચ દિવસ બંધ રહેશે

editor

वाहन में लिफ्ट मांगकर लूट करती दो महिला की गिरफ्तारी

aapnugujarat

मैं फरार नहीं, भक्त योग्य समय का इंतजार करें : धनजी उर्फ ढबुडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1