દુનિયાના મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગે તેમના અંતિમ સમય અગાઉ જ એકવાર કહ્યું હતું કે પૃથ્વી હવે રહેવાલાયક સ્થળ નથી, માનવીએ અન્ય ગ્રહ પર વસવાટનો વિકલ્પ શોધવો પડશે. તેમની આ ચેતવણી સાચી પડવાની હોય એવા તારણો તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં ઉજાગર થયા છે. એક નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વૈશ્વિક તાપમાનને બે ડિગ્રી સેલ્સિયસથી નીચે લાવવાનું લક્ષ્ય પાર કરી લેવાય તો પણ આપણી ધરતીનું તાપમાન ૪-૫ ડિગ્રી વધી જાય એવી શક્યતાઓ આગામી વર્ષોમાં રહેલી છે.
મેગેઝિન ‘નેચર જિયોસાયન્સ’માં પ્રકાશિત એક અભ્યાસમાં આ જાણકારી આપવામાં આવી છે. જેના પ્રમાણે, પેરિસ જળવાયુ લક્ષ્ય પાર પાડવામાં આવે તો પણ સમુદ્ર સ્તર ૬ મીટર કે તેનાથી ઉપર જઈ શકે છે. આ તારણ છેલ્લા ૩૫ લાખ વર્ષ દરમિયાન આવેલા ગરમ કાળના અવલોનાત્મક પુરાવાઓ પર આધારિત છે, જ્યારે ધરતી ૧૯મી સદી અગાઉના ઔદ્યોગિક તાપમાનની તુલનામાં ૦.૫થી ૨ ડિગ્રી સે. વધુ ગરમ હતી. જેમાં દર્શાવાયું છે કે કઈ રીતે ગ્લેશિયર પીગળી શકે છે. આ ઉપરાંત અન્ય ફેરફારો પણ થઈ શકે છે જેમાં સહરાના રણમાં હરિયાળી જોવા મળી શકે છે તો ઉષ્ણકટિબંધમાં આવેલા જંગલો આગની ઝપટમાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંશોધક વિલ સ્ટેફને કહ્યું હતું, ‘માનવ પ્રેરિત ગ્રીનહાઉસ ઉત્સર્જનો જ પૃથ્વીનું તાપમાન વધારવા માટે જવાબદાર નથી. અમારો અભ્યાસ દર્શાવે છે કે માનવ પ્રેરિત ગ્લોબલ વોર્મિંગ બે ડિગ્રી સે. વધે ત્યારે અન્ય અર્થ સિસ્ટમ પ્રોસેસીસ શરૂ થઈ શકે છે. તેથી માત્ર ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને અટકાવવાથી આ સમસ્યાનો હલ આવવો શક્ય નથી.
વિજ્ઞાનીઓની ટીમે દર્શાવ્યું હતું કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય તો અને તે પેરિસ એગ્રીમેન્ટની મર્યાદામાં આવે તો પણ પૃથ્વી વિજ્ઞાનીઓનાં કહેવા પ્રમાણે, ‘હોટ હાઉસ અર્થ’ની સ્થિતિમાં પ્રવેશી શકે છે. જેના કારણે ભૂભૌગોલિક એવા અનેક ફેરફારો પણ શક્ય બનશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ