વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે જેથી પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોતે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી છે. અશોક ગહેલોત આગામી ૨૪મીએ ગુજરાત આવશે અને કોંગ્રેસના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરશે. અમદાવાદની ૧૬ બેઠકો માટે તેઓ દાવેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે તેમજ બે દિવસમાં ધારાસભ્યો, જિલ્લા નિરીક્ષકો, સંગઠનના હોદ્દેદારોને મળશે. વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રાજકીય હિસાબ પતાવવા મેદાને પડ્યા છે જેના લીધે પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે જેની હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે જેથી ગુજરાત કોંગ્રેસની વર્તમાન રાજકીય પરિસ્થિતિને થાળે પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાના મામલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે ખેંચતાણ જામી છે.
પાછલી પોસ્ટ