સામાન્ય રીતે તમે એટીએમ સેન્ટરમાં જાઓ ત્યારે મશીનમાં જેટલી રકમ એન્ટર કરશો તેટલા જ રૂપિયા બહાર નીકળશે. પરંતુ બિહારના જહાંનાબાદમાં એક એવું એટીએમ મશીન છે, જેમાં ૧૦૦ રૂપિયા કાઢવા પર ૨,૦૦૦ રૂપિયા એટીએમ મશીનથી નીકળવા લાગ્યા. શહેરના પ્રાચીન દેવી મંદિર પાસે ઈન્ડિયન બેંકનું એટીએમએ શુક્રવારે ગ્રાહકો પર પૈસાની વરસાદ કરી નાખ્યો. અહીં એટીએમ મશીનમાં લોકો ૧૦૦ રૂપિયા નીકાળવા માટે બટન દબાવી રહ્યા હતા અને બે હજારની નોટો નીકળી રહી હતી. શરૂઆતમાં કેટલાક લોકોને વિશ્વાસ ન થયો કે તેમને વીસ ગણા રૂપિયા મળી રહ્યા છે. પરંતુ જોતજોતામાં સેંકડો લોકો પૈસા કાઢવા માટે એટીએમની બહાર લાઈન લગાવીને ઊભા રહી ગયા.
સાંજના સમયે ખાલીખમ રહેતા એટીએમમાં પૈસા કાઢવા માટે રાતના ૯ વાગ્યા સુધી ભીડનો માહોલ સર્જાયેલો રહ્યો. મશીનમાં બે હજારના ૪૩૬ નોટ ખતમ થયા બાદ આ સ્થિતિ અટકી. કહેવાઈ રહ્યું છે કે એન્જિનિયરે ભૂલથી ૧૦૦ની નોટ મૂકવાની પ્લેટમાં ૨૦૦૦ની નોટો મૂકી દીધી હતી. ઘટનામાં ઈન્ડિયન બેંકના બ્રાન્ચ મેનેજર અભિષેક કુમારે જણાવ્યું કે, સર્વિસિંગ દરમિયાન એન્જિનિયરથી કોઈ ભૂલ થઈ. તેમણે જણાવ્યું કે, એટીએમમાં નોટ મૂકવા માટે ત્રણ કેસેટ હોય છે. સૌથી ઉપર બે હજારની નોટ હોય છે. આ પછી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટ મૂકવામાં આવે છે. પરંતુ ભૂલથી એન્જિનિયરે સૌથી નીચેની કેસેટમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકી દીધી.
આ કારણે જયારે કોઈ વ્યકિત ૧૦૦ રૂપિયા નીકાળી રહ્યો હતો, તેને ૨૦૦૦ની નોટ મળવા લાગી. આ ભૂલના કારણે જે લોકોએ ૮,૭૨,૦૦૦ રૂપિયા ઉપાડ્યા છે, તેમની પાસેથી રકમ વસૂલવામાં આવશે. બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે, રૂપિયા ફરીથી પાછા આવી જાય તે માટે પૂરતો પ્રયાસ કરવામાં આવશે.
પાછલી પોસ્ટ