ગાંધીનગર ખાતે યોજાયેલા ’ગરવી ગુજરાત ૨૦૧૮’ કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરમાં ગાજેલા મગફળી કૌભાંડ અંગે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ કૌભાંડમાં જે કોઈ પણ વ્યક્તિ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, ફરાર થઈ ગયેલા ચાર લોકોને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આશરે ૧૦ લાખ ટન જેટલી મગફળી રૂ. ૯૦૦ના ટેકાના ભાવથી ખરીદ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ૨૫૦ સેન્ટર્સ પરથી આ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. અમને અમુક સેન્ટર્સ પર ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી છે.”
૧૦ લાખ ટન મગફળીના જથ્થામાંથી નાફેડ દ્વારા સાડા ચાર લાખ ટન મગફળીનો જથ્થો વેચવામાં આવ્યો છે. તેમાં કોઈ ગેરરીતિ સામે આવી નથી. નાફેડને પણ તેના પૈસા મળી ગયા છે.
ટેકાના ભાવે કુલ ચાર હજાર કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે કે પાંચ હજાર કરોડનું કૌભાંડ થયું છે. આ આંકડો ક્યાંથી આવ્યો?
પાછલી પોસ્ટ