નવા પસાર થયેલા એન્ટી કરપ્શન લો અંતર્ગત ન કેવળ લાંચ લેનાર પરંતુ લાંચ આપનાર પણ એટલો જ ગુનેગાર ગણાશે તેને પણ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભ્રષ્ટાચાર નિવારણ (સુધારા) ધારા, ૧૯૮૮ને અનુમતિ આપી હતી. જોકે પબ્લિક સર્વન્ટ સહિત રાજકારણીઓ, અમલદારો, બેંકર્સ માટે સંરક્ષણની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે. કાયદા અંતર્ગત તપાસ કરી રહેલી સીબીઆઈ તથા અન્ય તપાસ પંચ દ્વારા કોઈની પણ તપાસ કર્યા પહેલા જે તે વિભાગના ઓથોરિટીની મંજૂરી લેવી આવશ્યક બનાવવામાં આવી છે.
ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ પોલીસ અધિકારી કોઈ પણ પ્રકારની તપાસ કરી શકશે નહીં, જોકે લાંચ આપવા કે લેવાના ઘટના સ્થળ પર જ રંગે હાથ ઝડપાયેલા ગુનેગારની ધરપકડ માટે કોઈ અનુમતીની જરૂર નહીં હોવાનું પણ કાયદા અંતર્ગત જણાવવામાં આવ્યું છે. નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે પણ સંરક્ષણના નિયમો એટલા જ લાગુ પડશે.
કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કાયદામાં થયેલા સુધારાને પરિણામે પ્રામાણિક અધિકારીઓ તપાસ એજન્સી દ્વારા થતી કનડગતથી બચી શકશે. કાયદામાં પહેલી વાર લાંચ આપનાર માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે ૩૦ વર્ષથી જૂના કાયદામાં રહેલી મૂળભૂત ખામીને દૂર કરવામાં સરકાર સફળ થઈ છે.
ઉલ્લેખનીય છે કે કાયદાના નવા નિયમ હેઠલ અગાઉ શંકાના આધારે ઘડવામાં આવતા આરોપનામાનો અંત આવશે. જેટલીએ જણાવ્યું હતું કે બેંક મેનેજર દ્વારા આપવામાં આવેલું ધિરાણ ચૂકવવામાં નિષ્ફળ જનાર દેવાદાર સંદર્ભે સમગ્ર કેસને સીબીઆઈ હસ્તક સોંપી દેવામાં આવતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ