પવિત્ર શ્રાવણ માસને હવે માંડ એક પખવાડિયું બાકી રહ્યું છે. ત્યારે સોમનાથમાં શ્રાવણ માસ નિમીત્તે યોજાનાર ધાર્મિક કાર્યક્રમો તેમજ ત્રીસેય દિવસોનાં શણગારની તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન રોજ જુદા જુદા શણગાર કરવામાં આવશે. જેમાં સોમવાર, જન્માષ્ટમી અને અમાસનાં દિવસનાં શણગાર ખાસ પ્રકારનાં હશે.
આ વખતે શ્રાવણ માસમાં 29 દિવસો છે. જેમાં તા. 13 ઓગષ્ટને પ્રથમ સોમવારે રથારોહણનો શણગાર, તા. 20 ઓગષ્ટને બીજા સોમવારે મહામૃત્યુંજય દર્શન શણગાર, તા. 27 ઓગષ્ટને ત્રીજા સોમવારે સફેદ વસ્ત્રનો શણગાર, તા. 3 સપ્ટેમ્બરને ચોથા સોમવારે જન્માષ્ટમી પણ હોઇ એ દિવસે કૃષ્ણજન્મોત્સવ દર્શન અને તા. 9 સપ્ટેમ્બરને અમાસનાં દિવસે સોમનાથ માહાત્મ્ય દર્શન અને અન્નકૂટનાં દર્શન થશે. શણગારનાં યજમાનને મહાપૂજાનો લાભ પણ મળશે અને ટ્રસ્ટ તરફથી સન્માન પ્રસાદ પણ અપાશે. આગામી શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર હોય ખાસ સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ