ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. સાતમા પગાર પંચના લાભો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને પણ સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને તા.૧-૮-૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવેલ છે પરંતુ તા.૧-૧-૨૦૧૬થી તા.૩૧-૭-૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. જેનો લાભ ૪૮,૦૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે જેના કારણે વિવિધ વીજ કંપનીઓને ૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તદ્અનુસાર પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮ બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ