ધ્રોલ તાલુકાના દેદકદડ ગામે પાક નિષ્ફળ જતાં વૃદ્ધ ખેડૂતે આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી છે. વરસાદ ન થતાં વાવેતર કર્યું છે પણ કોઇ વળતર મળશે નહીં તેની ચિંતામાં આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધ્રોલ પંથક સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર દેદકદડ ગામે રહેતા અને ખેતી કરતા દેવસિંહ ભગવતસિંહ જાડેજા(ઉ.વ.૬૪)નામના ખેડૂતે પોતાના ખેતરમાં ખરીફ વાવેતર કર્યું હતું. પરંતુ વાવેતર નિષ્ફળ જતાં લાગી આવતા દેવસિંહે ૨૦ જુલાઇના ગામમાં આવેલા પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના ભત્રીજા પ્રવીણસિંહ બચુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં પ્રવીણસિંહે જણાવ્યાનુસાર તેના કાકા દેવસિંહ બનાવના બે-ત્રણ દિવસ પહેલા પોતાના કુટુંબીજનો અને ગામમાં કહેતા હતા કે, ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ આવેલો ન હોય જેથી આ વર્ષે કોઇ વળતર મળશે નહીં. તેની ચિંતા કરતા હતાં અને ખેતરમાં પાક નિષ્ફળ જવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ