વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકે આજે અનુપમસિંઘ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે તેઓએ વડોદરા શહેરમાં થતાં કોમી રમખાણો અટકાવવા માટે ખાસ પ્લાન ઘડવાની વાત તેઓએ કરી હતી.તાજેતરમાં જ રાજ્યભરમાં આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. જેમાં વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધરની પંચમહાલ રેન્જ આઈજી તરીકે બદલી કરાઈ હતી. જ્યારે તેમના સ્થાને અનુપમસિંઘ ગેહલોતની વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
અનુપમસિંઘ ગેહલોતે આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.વડોદરાના નવા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતુ કે, વડોદરા શહેરમાં પ્રસંગોપાત થતાં કોમી રમખાણો અટકાવવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. કોમી હિંસા ફેલાવનાર તત્વોની ઓળખ કરીને તેમના પર વોચ રાખીશું. આવા તત્વો તોફાન કરીને ફરાર થઇ જતાં હોય છે અને નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે, આવુ ન થાય તેનાં માટે અમે કામ કરીશું. અને તોફાની તત્વોને આશ્રય આપનાર સામે પણ કાર્યવાહી કરીશું. આ ઉપરાંત વડોદરાની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પણ આયોજન કરીશું. અમે શોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓને પણ અટકાવવાના તમામ પ્રયાસ કરીશું.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ