ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮માં ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સ ફૂટબોલ ચેમ્પિયન બન્યું છે. આ મેચ પહેલા રવિવારે ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક ટિ્વટ કરી ભારતીય લોકોને જે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે, તે ઘણાં લોકોને પસંદ આવશે નહીં. તેને પોતાના મેસેજમાં લોકોને ધર્મના નામે ન લડવાની અપીલ કરી છે.
હરભજન સિંહે ટિ્વટ કરીને કહ્યું કે, હિંદુ-મુસ્લિમ રમવાનું છોડો અને ક્રોએશિયા પાસેથી કંઇક શીખો. મહત્વનું છે કે, માત્ર ૫૦ લાખની વસ્તી ધરાવતો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગયો છે. ત્યારે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં પણ આ વાતની ચર્ચા હતી કે, માત્ર ૫૦ લાખની વસ્તી ધરાવતો દેશ ફુટબોલની ફાઇનલ રમી રહ્યો છે અને ભારતમાં હિંદુ-મુસ્લિમ રમાઇ રહ્યું છે.
ભજ્જીએ ટિ્વટ કરીને લખ્યું કે, આશરે ૫૦ લાખની વસ્તીવાળો દેશ ક્રોએશિયા ફુટબોલ વર્લ્ડ કપમાં ફાઇનલ રમશે અને આપણે ૧૩૫ કરોડ લોકો હિંદુ-મુસ્લમાન રમી રહ્યાં છીએ. સોચ બદલો તો જ દેશ બદલશે. મહત્વનું છે કે, ક્રોએશિયા ૧૯૯૧માં આઝાદ થયો હતો, જેની વસ્તી ૪૦ થી ૫૦ લાખની આસપાસ છે. તેનું ક્ષેત્રેફળ હિમાચલ પ્રદેશ જેટલું જ છે. ૬૮ વર્ષ પછી ફાઈનલમાં પહોંચનાર સૌથી નાનો દેશ છે. ક્રોએશિયાની ટીમે ફીફા વિશ્વકપ ૨૦૧૮માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાના પ્રદર્શનના દમ પર પ્રથમવાર વિશ્વકપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.