દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સાત જિલ્લામાં પુુરની સ્થિતિ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકાર હવે સક્રિય થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રીએ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી ભારે વરસાદની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમ્યાન રૂપાણીએ કહ્યું હતું કે સાત જિલ્લામાં પુરની સ્થિતિ છે પરંતુ હાલમાં હવાઈ સર્વેક્ષણની જરૂર દેખાઈ રહી નથી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પુરના પાણી ઉતરી રહ્યા છે. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. જે જિલ્લાઓમાં વધુ વરસાદ થયો છે ત્યાં તંત્ર સક્રિય છે. એરફોર્સને સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અંગે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમનો કાર્યક્રમ અકબંધ રહ્યો છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો સક્રિય થઈ છે અને વધુ પાંચ ટીમો પહોંચી રહી છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ ૨૪ કલાક માટે કંટ્રોલ રૂમ સક્રિય છે. ગીરગઢડામાં એનડીઆરએફની ટીમને મોકલી દેવાઈ છે. સાત જિલ્લાના ૨૦ તાલુકામાં પુરની સ્થિતિના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ૩૫ મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ ગયા બાદ તમામને બચાવી લેવામાં આવ્યા છે. વલસાડની ઓરંગા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ઉનામાં ૧૪ ઈંચ અને ગીરગઢડામાં ૧૫ ઈંચથી વધુ વરસાદ થયો છે. ગીર જુનાગઢમાં અનેક જગ્યાએ રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે. દરમિયાન, રાજ્યના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવસારી જિલ્લાના ગણદેવીમાં સાત ઈંચથી વધુ વરસાદ થયો છે. સુરત જિલ્લાના કામરેજમાં પણ સાત ઈંચથી વધુ વરસાદ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં નવ ઈંચથી વધુ વરસાદ થયો છે. કુલ આઠ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે ત્રણ તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ થયો છે. ચોવીસ કલાકમાં ઓલપાડ તાલુકામાં ૬ ઈંચથી વધુ, કપરાડામાં ૬ ઈંચથી વધુ વરસાદ થયો છે. ચીખલીમાં પાંચ, સુરત શહેરમાં પાંચ ઈંચ વરસાદ થયો છે. ૧૭ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ૩૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખુદ સીએમ વિજય રૂપાણી અને મહેસૂલ મંત્રી કૌશીક પટેલ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદી પણ ૨૦મી તારીખે ગુજરાત આવી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ