દિલ્હીના બુરાડી સામૂહિક આત્મહત્યાની ઘટનાને લોકો હજુ ભુલ્યા નથી ત્યારે ઝારખંડમાં આના જેવી જ ઘટના સપાટી ઉપર આવી છે. આના કારણે હઝારીબાગ હચમચી ઉઠ્યું છે. અહીં એક જ પરિવારના છ લોકોએ આપઘાત કરી લીધો છે. આ ઘરમાં જે રીતે સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે ત્યાં પણ પોલીસને આત્મહત્યાની નોંધ મળી આવી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, હઝારીબાગમાં આપઘાત કરનાર પરિવારના સભ્યો ઉપર જંગી દેવું હતું. પોલીસે હજુ સુધી આ મામલામાં કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ જુદા જુદા એંગલથી તપાસ હાથ ધરી છે. પરિવારમાં કુલ છ સભ્યો હતા જે પૈકી પાંચે ફાંસી ઉપર લટકીને આપઘાત કરી લીધો છે જ્યારે અન્ય એક સભ્યએ છત ઉપર કુદીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરનારમાં માતા-પિતા, પુત્ર, પુત્રવધુ, બાળકોનો સમાવેશ થાય છે. આપઘાત પાછળ દેવાને મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. ત્રણ આપઘાતની નોંધ અને પાવર ઓફ એટર્ની પણ મળ્યા છે. મામલામાં તપાસ ચાલી રહી છે. એમ કહેવામાં આવે છે કે, હઝારીબાગના મહાવીરસ્થાન ચોક ઉપર મહેશ્વરી (૭૦) ડ્રાયફ્રુટની દુકાન ધરાવતા હતા. તેમના પરિવારમાં કિરણ મહેશ્વરી (૬૫), એકમાત્ર પુત્ર નરેશ અગ્રવાલ (૪૦), પુત્રવધુ પ્રિતિ અગ્રવાલ (૩૭), યમન (૧૧), યાનવી (૬) લોકો હતા. આ તમામે આપઘાત કરી લીધો છે. ઘટનાસ્થળે મહાવીર અગ્રવાલ, તેમના પત્નિ કિરણના મૃતદેહ ફાંસી ઉપર મળ્યા છે જ્યારે પુત્રવધુ પ્રિતિ અને બાળકોના મૃતદેહ પણ મળ્યા છે. એક બાળકનું ગળું કપાયેલું મળ્યું છે જ્યારે નરેશ અગ્રવાલનો મૃતદેહ એપાર્ટમેન્ટની સામે મળ્યો છે. પાંચમા માળની છત ઉપર રેલિંગ નજીક એક ખુરશી મળી આવી છે જેનાથી સાબિત થઇ રહ્યું છે કુદીને આપઘાત કરી લીધો છે. આપઘાતની નોંધ મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, બાળકને લટકાવી શકવાની સ્થિતિ ન હતી જેથી હત્યા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલી જુલાઈના દિવસે ઉત્તરીય દિલ્હીના સંત નગરમાં એક સાથે ૧૧ મૃતદેહ મળી આવ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ