જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને પગલે શહેરમાં નવી બનાવવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. ૨૦મી તારીખે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેઓ આ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પાણી ઘૂસી જતાં તંત્ર દોડતું થયું છે. તંત્રએ તાત્કાલિક હોસ્પિટલમાંથી પાણી બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ભારે વરસાદને કારણે હોસ્પિટલના દરવાજાઓ અને બારીઓમાંથી વરસાદનું પાણી અંદર આવી ગયું છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરની સાથે સાથે પાંચમાં માળે પણ બારી બારણાઓ મારફતે પાણી ધૂસી ગયું છે. કરોડો રૂપિયાને ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે તેના બાંધકામ સામે હવે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
મોદી ૨૦મી તારીખે જે નવી સિવિલનું લોકાર્પણ કરશે તેના મોટા ભાગના વિભાગોને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં અહીં વિવિધ વિભાગોમાં દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, ત્યારે એવી પણ લોકચર્ચા જાગી છે કે હોસ્પિટલ કાર્યરત જ છે ત્યારે આ કેવા પ્રકારનું લોકાર્પણ છે.
જૂનાગઢ પંથકમાં ગુરુવારે શરૂ થયેલો વરસાદ શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. જેના પગલે ખાડિયા રોડ પર રસ્તાનું ધોવણ થયું હતું. ધોવાણને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો ગીર વિસ્તારમાં ભારે વરસાદને કારણે માળિયા હાટિનાની મેઘાલ નદીમાં પૂર આવ્યું હતું. મેંદરડાની મધુવની નદીમાં પણ પૂર આવ્યું હતું.