અરવલ્લીના મોડાસા તાલુકાના ડુગરવાડાના ખેડૂતે બસો મણ મકાઈનું વાવેતર કર્યુ હતું. પણ ત્રણ મહિના થવા છતાં મકાઈનો દાણો ન આવતા જગતના તાતને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. કેટલાક સમય પહેલા અરવલ્લી જિલ્લામાં નકલી બિયારણની દુકાનો પર દરોડા પાડી નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
તેમ છતાં એક ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે. કંપનીએ અનેક દાવાઓ કર્યા હતા. પણ ૭ વિઘામાં વાવેતર કરેલી મકાઈ પાંચ ફૂટ જેટલી ઊંચી થઈ હતી. પણ મકાઈમાં દાણા આવ્યા નથી. જેથી નકલી બિયારણ પધરાવી દેવાની ખેડૂતે જાણ થતા તંત્રને જાણકરી હતી.
તો દુકાનદારનું કહેવું છે કે, ઉનાળુ મકાઇનું વાવેતર કરવું હોય તો તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે હોવું જોઇએ અને જો તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર થાય તો મકાઈમાં દાણા આવવાની શક્યતાઓ નહિવત રહે છે. આ પ્રકારની ઘટના પહેલા ન બની હોવાનું દુકાનદારનું માનવું છે. તો સવાલ એ થાય છે કે, અરવલ્લી જિલ્લામાં ઉનાળામાં સામાન્ય રીતે તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર રહે છે.
તો આ પ્રકારના બિયારણનું વેચાણ શા માટે થઇ રહ્યું છે. ખેડૂતનું વાવેતર નિષ્ફળ થતાં આ સમગ્ર મામલે ખેતીવાડી વિભાગ અજાણ હોવાનું લાગી રહ્યું છે. તેમ છતાં મોડે મોડે તપાસ કરવાનું રટણ ખેતીવાડી અધિકારીઓ કરી રહ્યા છે.