ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ જવા થઇ રહ્યું છે. જેના દ્વારા મુંગા જીવોની આંતરડી ઠારવાનો એક અનોખો ભગીરથ પ્રયાસ કરાયો છે. પાટણ શહેરની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીંક રોડ પર અશોક વાટીકામાં રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રોટલીયા હનુમાનજી મંદિર નિર્માણનો મુખ્ય ઉદ્દેશ મુંગા જીવોની આંતરડી ઠારવાનો છે અને એ માટે જ આ મંદિરે ભક્તજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવી શકાશે. પ્રસાદ રૂપે એક્ઠા થયેલા રોટલા-રોટલી સાંજે જિલ્લાની વિવિધ સીમ વિસ્તાર કુતરા, વાંદરા સહિત મુંગા પશુ-પક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે. આવા અનોખા ઉદ્દેશ સાથે નિર્માણ પામતું રોટલિયા હનુમાનજી મંદિર સંભવત ભારતભરમાં આ પ્રકારનું પ્રથમ મંદિર હશે.
રોટલીયા હનુમાનજી મંદિરનાં નિર્માણકાર્યમાં સેવકગણ દ્વારા ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન સહયોગ થઇ રહ્યો છે. મંદિરની સાથે સાથે સુવિાયુક્ત સંકુલ પણ આકાર પામી રહયું છે. જેમાં પક્ષીઘર અને મુંગા જીવોની સેવાર્થે સેવા સ્થળ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડિલો માટે આશ્રય સ્થાન પણ બની રહ્યું છે જ્યાં આરામ ઉપરાંત ભજન-કીર્તન પણ કરી શકશે. દિવસ દરિમયાન અહીં ચા-પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા ઉદ્દેશ સાથે સાડા આઠ ફૂટની હનુમાનજી ની પ્રતિમા સાથે રોટલીયા હનુમાનની મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. જે ખૂબ જ આવકારદાયક છે. ટ્રસ્ટ દ્વારા સાહિત્ય, કલા, શિલ્પ અને સંગીતને લગતી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત આપત્તિ સમયે અસરગ્રસ્તોને મદદ કરવી, શિયાળામાં ગરીબોને ધાબળા વિતરણ અને મુંગા પશુઓને રહેઠાણની વ્યવસ્થા કરવી, અંબાજી જેવા યાત્રાધામે પદપાળા જતા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પ દ્વારા સેવા કરવી, ચકલીઓનાં માળા તથા પાણીનાં કુંડાનું વિતરણ કરવું, નિરાધાર બહેનો માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ દ્વારા તેમનો સર્વાંગી વિકાસ કરવા ઉપરાંત મુંગા પશુઓને ભોજન પૂરું પાડની કાર્યવાહી પણ નિ:સ્વાર્થ ભાવે કરવામાં આવે છે.
આ અંગે ટ્રસ્ટનાં સ્નેહલ પટેલે જણાવ્યું કે, રોટલીયા હનુમાન મંદિર એ શ્રદ્ધા સાથે જીવદયાનું પણ કેન્દ્ર બને એ હેતુથી જગતમાં પ્રથમ એવા આ મંદિરનું નિમાર્ણ કરાયું છે. અહીં માત્ર પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ બાધા આખડી રૂપે પણ માત્ર રોટલા કે રોટલી જ ધરાવીને મુંગા જીવોની સેવા કરી શકાય તેવો અમારો ઉદ્દેશ છે.
આગામી 10 એપ્રલિથી 16 એપ્રિલ સુધી એટલે કે રામનવમીથી હનુમાન જયંતિ સુધી રોટલીયા હનુમાન મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્ણ માહોલામાં યોજાશે. જેમાં સહભાગી થવા માટેમાટે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરીજનોને આમંત્રણ પાઠવાયું છે. આ મંદિરે દાદાને શ્રીફળ, પેંડા, લાડુ કે અન્ય કોઈ પ્રસાદ ન ચઢાવીને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ધરાવીને મુંગા જીવોની આંતરડી ઠારવા એક અનોખી પહેલ કરી છે ત્યારે શહેરીજનો પણ આ પહેલને આવકારવા ઉત્સાહિ છે.
એક જ પથ્થરમાંથી તૈયાર 8.5 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાશે
રોટલીના રૂમના ધાબા ઉપર ખુલ્લામાં હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરવા માટે સ્પેશ્યલ અંબાજી ખાતેના કલાકારો પાસે એક જ પથ્થર માંથી 8.5 ફૂટની ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે.જે 16 એપ્રિલે સ્થાપિત કરાશે.