કાશ્મીર ઘાટીમાં આતંકીઓની ગતિવિધિ વધી ગઈ છે. આતંકીઓ કોઈ મોટા હુમલાની ફિરાકમાં છે તેઓ માત્ર સ્થળ અને સમય શોધી રહયા છે. બંધ પડેલા સેટેલાઈટ ફોન ફરી વાર સક્રિય થઈ ગયા છે. આ ફોનના જૂના નંબરો ફરીવાર ચાલુ થઈ ગયા છે. પરંતુ આ તરફ ભારતની સુરક્ષાએજન્સીઓ આતંકીઓના મનસૂબા પર પાણી ફેરવવા તૈયાર છે.
જમ્મુ-કાશ્મીર ઘાટીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આતંકવાદીઓની સક્રિયતા વધી છે. આ ગતિવિધિ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી બંધ પડેલા સેટેલાઈટ ફોન ફરીવાર સક્રિય થઈ ગયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, આ ફોન
આતંકીઓ સાથે કોઈને કોઈ રૂપે જોડાયેલા છે. આ જૂના ફોન નંબરો ફરીવાર ચાલુ થયા બાદ ખીણમાં કોઈ મોટા હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, હાલમાં સુરક્ષા એજન્સીઓએ આ ફોનનંબરોની ગતિવિધિ પર બાજ નજર રાખવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં જ ગુપ્તચર અહેવાલમાં એ બાબત સામે આવી છે કે, મોટી સંખ્યામાં આતંકીઓ સીમાપારથી ઘુસણખોરી કરી ખીણમાં પ્રવેશ્યા છે. અને કોઈ મોટા હુમલાની ફિરાકમાં છે. થોડા દિવસો પહેલા ખીણમાં કેટલાક વિસ્તારોમાં આવા આતંકવાદીઓ જોવા પણ મળ્યા છે. બુધવારે કુપવાડામાં આતંકીઓ દેખાયા બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આજે સેનાએ એક આતંકીને ઠાર પણ કરી દીધો છે. ત્રેહગામ અને કાશ્મીરના પાટ્ટન વિસ્તારમાં પણ આતંકીઓએ દેખા દીધી છે.
ગુપ્તચર અહેવાલ મુજબ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલો આતંકી અબુ ઈસ્લામ ખીણમાં હુમલા માટે નવા ઠેકાણાની શોધ કરી રહ્યો છે. વીતેલા થોડા દિવસો દરમ્યાન ખીણમાં મોટી સંખ્યામાં આતંકીઓની ભરતી થઈ હોવાના અહેવાલ મળ્યા હતા. આ અહેવાલોએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.
થોડા દિવસો પહેલા જ હિઝબુલ મુજાહિદ્દીને ભારતીય પોલીસ સેવાના એક અધિકારીના ભાઈની એક તસવીર જાહેર કરી હતી. અને તે આતંકી સંગઠનમાં જોડાઈ ગયો હોવાનું પણ જણાવ્યું હતું.