જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશન ઓલઆઉટથી ગુસ્સે ભરાયેલા આતંકીઓ રાજ્યમાં હવે સોફટ ટાર્ગેટ શોધી રહ્યા છે. આતંકવાદીઓ હવે એકલા વ્યકિતને નિશાન બનાવી રહ્યા છે અથવા તો સિવિલિયન્સના ઘરમાં ઘૂસીને તેમને ધમકાવી રહ્યા છે.
આતંકીઓની કોશિશ કોઇ પણ રીતે માહોલને તણાવપૂર્ણ અને ભયજનક રાખવાની છે. સિક્યોરિટી એજન્સી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આતંકી માસ્ટર માઇન્ડના ખાતમા બાદ આતંકીઓ હવે મોટા ટાર્ગેટ પર કામ કરી શકતા નથી. તેથી તેઓ સોફટ ટાર્ગેટ શોધી રહ્યા છે. છેલ્લા એક દોઢ મહિનામાં આતંકી ઘટનાઓને જોઇએ તો એ સ્પષ્ટ છે કે તેઓ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે, જે કમજોર છે કે જેમને કોઇ સુરક્ષા મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું મુખ્ય નિશાન આર્મી કેમ્પ કે આર્મીના કાફલા છે. મુખ્ય આતંકીઓ તેમના પર હુમલો કરવાની ફિરાકમાં રહે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદીઓની લીડરશિપનો આર્મીએ સફાયો કરી દીધો છે, જેેથી હવે તેઓ પોતાનો આતંક ટકાવી રાખવા માટે માહોલ તણાવપૂર્ણ રાખવાની કોશિશ કરી રહ્યા છે.
તેઓ ક્યારેય પણ કોઇ પણ સૈનિકને ઘરમાંથી ઉઠાવી લે છે. કયારેક રસ્તામાંથી તો કયારેક સ્થાનિકોના ઘરમાં ઘૂૂસીને તેમને ધમકાવે છે. રવિવારે રાત્રે ચાર આતંકવાદી શાહગુંડમાં પીડીપી કાર્યકર્તા અબ્દુલ માજિદ દારના ઘરમાં જબરદસ્તી ઘૂસી ગયા અને તેમની પત્ની શકિલા બેગમે વિરોધ કરતાં તેનું ગળું દબાવી દીધું.
સુરક્ષાદળોનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રમજાન દરમિયાન પણ સીઝ ફાયરમાં આતંકવાદીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવીને ડરનો માહોલ ઊભો કરવાની કોશિશ કરી હતી. રપ મેેના રોજ હઝન ક્ષેત્રમાંથી મહંમદ યાકુબનું તેના ઘરેથી આતંકવાદીઓએ અપહરણ કર્યું અને તેની બોડી નજીકના ફિલ્ડમાં મળી. ર૯ મેના રોજ પુલવામાના કાબમાં મહંમદ અયુબનું ઘર આતંકીએ તોડી પાડ્યું. તેમનાં પરિવારજનો સાથે મારપીટ કરી અને ધમકી આપી.