દક્ષિણ એશિયામાં પાકિસ્તાન એક જ એવો દેશ છે, જેના વડા પ્રધાને ભ્રષ્ટાચારના આરોપના કારણે હોદ્દા પરથી ઊતરી જવું પડયું હોય અને એજ ગુના સબબ કોર્ટે દસ વર્ષની સખત મજૂરી સાથેની સજા ફટકારી હોય. નવાઝ શરીફ ત્રણ વખત વડા પ્રધાન બન્યા હતા! ત્રીજી ટર્મમાં, પનામા પેપર્સના કૌભાંડમાં ઝડપાઇ ગયા. એ કૌભાંડમાં તેમના બે પુત્ર ઉપરાંત દીકરી મરયમ અને જમાઇ નિવૃત્ત કેપ્ટન મુહમદ સફદાર પણ સામેલ હતા. બન્ને પુત્રો કેસનો ચુકાદો આવ્યો ત્યાં સુધી ‘ભાગેડુ’ જ રહ્યા અને દીકરી મરયમને સાત વર્ષની તેમ જ મુહમદ સફદારને એક વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે, તે ઉપરાંત લાખો ડોલરનો દંડ તો ખરો જ.
જોકે, એ નક્કી નથી કે, નવાઝ શરીફ અને પુત્રી મરયમ જેલની સજા ભોગવવા લંડનથી પાકિસ્તાન પાછા ફરે અને પાછાં ન ફરે તો શું ? એ સવાલ કરતાં જેલમાં જાય તો શરીફે સ્થાપેલા રાજકીય પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લિગ નવાઝને, કે જે હાલમાં પણ સત્તાધારી પક્ષ છે, તેને ૨૫ જુલાઇના રોજ યોજાનારી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં ‘સિમ્પેથી વૉટ’ મળવાની શક્યતા વધી જાય! જોકે, પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઇમરાનખાનને તો એટલે સુધી કહ્યું છે કે, શરીફ તો ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જવાના જ હતા! પણ ચૂંટણીઓમાં ‘સિમ્પેથી વૉટ’ મેળવવાની યોજના તો તેમણે બનાવી જ રાખી હતી અને તે એટલે પત્ની કુલસૂમની ગંભીર બીમારી, કે જેના કારણે અત્યારે એક મહિનાથી લંડન જઇ બેઠા છે! પત્ની લંડનમાં ગંભીર બિમાર હતી અને હૉસ્પિટલમાં હતી ત્યારે તેઓ દેશભરમાં સભાઓ સંબોધતા હતા.
સફદારનું કહેવું છે કે, પાકિસ્તાનની પ્રજા નવાઝ શરીફને સજાના ફરમાનને સ્વીકારશે નહીં. એવેનફિલ્ડ સંબંધિત શરીફ પરિવારને અપાયેલી સજા પાક. પ્રજા રિજેક્ટ કરશે, મતલબ કે ચૂંટણીનો માહોલ તેઓ બદલી રહ્યા છે.
નવાઝ શરીફને આ તો ભ્રષ્ટાચારના કેસની પહેલી સજા છે હજુ બીજા બે કેસ અંગેની કાર્યવાહી બાકી છે. પનામા પેપર્સ કૌભાંડ એ હાઇપ્રોફાઇલ કૌભાંડ હતું. પનામા પેપર્સ કૌભાંડ, એક એવી ઘટના છે કે જેમાં વિશ્ર્વના વિવિધ નેતાઓને સમાવિષ્ટ કરતી વિગતોના ૧૧.૫ મિલિયન દસ્તાવેજો પનામાની લો ફર્મ મોસ્સાક ફોન્સેકામાંથી લીક કરવામાં આવ્યા હતા, જેના કારણે પનામાના વડા પ્રધાન સીગમુન્દુર ગુન્નલાઉગ્સને એપ્રિલ, ૨૦૧૬માં રાજીનામું આપવું પડ્યું હતું.
શરીફ અંગે તેમાં એવી વિગતો હતી કે, તેના ત્રણેય સંતાનોએ બ્રિટિશ વર્જિન આયલેન્ડસમાં ત્રણ મળીને ‘ઓફશોર કંપનીઓ’ ઊભી કરી હતી, જે ટૅક્સ હેવન તરીકે પ્રખ્યાત છે. જોકે, તેમાં શરીફનું નામ નહોતું. અને તેનાં સંતાનોએ કંઇ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું. એક પણ ઓફશોર કંપની પોતાની નથી એવું તેનાં પુત્રી મરયમે જણાવ્યું હતું. પરંતુ લીક થયેલા અહેવાલમાં એવું જણાવાયું હતું કે, એ ઓફશોર કંપનીઓમાં ઠાલવેલા નાણાં દ્વારા શરીફ પરિવારે લંડનના હાઇ ઍન્ડ મેફેરમાં મલ્ટિપલ પ્રોપર્ટીઝની ખરીદી કરી હતી
પનામા પેપર્સની વિગતો ખુલ્લી પડતાં વિપક્ષોએ તે અંગે તપાસની માગણી કરી હતી અને સત્તાના મદમાં નવાઝ શરીફે તે મંજૂર પણ કરી હતી અને શરીફ હલવાઇ ગયા. તપાસમાં એવું બહાર આવ્યું કે, શરીફ પરિવારે આવક કરતાં મિલકત વધારે હોવાનું શોધી કાઢયું. શરીફે વડા પ્રધાનનો હોદ્દો છોડવો પડ્યો અને આખરે કોર્ટે તેમને સજા ફરમાવી.
આવા નાપાક પાકિસ્તાનમાં શું નવાઝ શરીફ એકલા જ ચોર છે? ના, આ તો છીંડે ચઢ્યા તે ચોર જેવો તાલ છે. અને નવાઝ શરીફનાં નસીબ ખરાબ કે એ કૌભાંડ માટે કસૂરવાર ઠર્યા અને પાકિસ્તાનને નીચાજોણું થયું.
પીપીપીના કો-ચેરપર્સન અને બેનઝીર ભુત્તોના પતિ આસીફ ઝરદારીના સુરી પેલેસની કથા પણ શરીફની મિલકત ખરીદીની કથાથી બહુ સામ્ય ધરાવે છે. એક્સ ઍક્ટના સીઇઓ શોએબ શેખ એસ્ટેટ સેક્ટરના સૌથી મોટા ‘પાયરેટ્સ’ હતા એ માત્ર એક ટીવી ચેનલજ નહોતા ધરાવતા, પણ શરીફના કિસ્સામાં એવું જ છે કે, એમણે લાંબો સમય સત્તા ભોગવી અને ઘણો લાભ ઉઠાવ્યો. એ રીતે શોએબ શેખે મિલકતો અને સ્ટીલ મિલ્સ ઊભી કરી લીધી હતી. આવા તો ઘણા ચોર પાકિસ્તાનમાં ઉજળા થઇને ફરે છે, રહે છે,જીવે છે. તેમાંના કેટલાય ચૂંટણીમાં ઉમેદવારો છે, જેમાં ઇમરાન ખાનના પીટીઆઇ પક્ષમાં બે જણ છે, જેમનાં નામ છે, સાદિક અને અમીન. નવાબ શરીફ ચોર જાહેર થયા છે, આ બે નથી થયા, એવી વિગતો ‘એજન્ડા ૩૬૦’ હોસ્ટ આપતાં કહે છે કે, હવે ન્યાયની પ્રક્રિયા નવાઝ શરીફને સજા આપીને અટકશે નહીં, તો જ પાકિસ્તાનની પ્રજા ભ્રષ્ટાચારીઓના સકંજામાંથી બહાર આવશે.(જી.એન.એસ)