દેશમાં એક સાથે લોકસભા અને વિધાનભાની ચૂંટણી કરાવવાને લઇને ભારતીય જનતા પાર્ટીને સમાજવાદી પાર્ટી અને ટીઆરએસનો સાથ મળી ગયો છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે આના પર સહમતિ દર્શાવી છે. બીજી બાજુ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ દ્વારા પણ આ મુદ્દે સહમતિ દર્શાવી છે. પાર્ટીના ચેરમેન કે ચંદ્રશેખર રાવે કેન્દ્રીય કાયદા પંચને પત્ર લખીને કહ્યું છે કે, અમે એક સાથે ચૂંટણીને લઇને મક્કમ છીએ. સાથ આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા પંચે બે દિવસની બેઠકનું આયોજન કર્યું છે જેમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્યોની માન્યતાપ્રાપ્ત પાર્ટીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે આમાથી એક સાથે ચૂંટણી લઇ સહમતિ દર્શાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. આજે કેન્દ્રીય કાયદા પંચમાં સમાજવાદી પાર્ટીની રજૂઆત કરતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી એક સાથે ચૂંટણી કરાવવાને લઇને તરફેણ કરે છે. ૨૦૧૯માં આ પ્રક્રિયા શરૂ થઇ જાય તેવી અમારી ઇચ્છા છે. સાથે સાથે જો રાજનેતા પાર્ટી બદલે છે અથવા તો હોર્સ ટ્રેડિંગમાં પકડાય છે તો રાજ્યપાલને તેમના ઉપર એક સપ્તાહની અંદર કાર્યવાહી કરવાના અધિકાર હોવા જોઇએ. ડીએમકેના અધ્યક્ષ સ્ટાલિને ભાજપની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. બંધારણના મૂળભૂત સિદ્ધાંતોના વિરોધમાં આ વાત હોવાની રજૂઆત કરી હતી. બેઠકના પ્રથમ દિવસે શનિવારના દિવસે વિરોધ પક્ષોએ ભાજપના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટી દ્વારા પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તૃણમુલ કોંગ્રેસ તરફથી બેઠકમાં હાજરી આપવા માટે પહોંચેલા સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ આના ઉપર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, બંધારણની મૂળભત રચનામાં કોઇ ફેરફાર કરી શકાય નહીં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ