અમરનાથ યાત્રીઓ હવે બમ બમ ભોલેના ધામમાં શિવનાદ અને ઘંટનાદ કરી શકશે નહીં. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ના આદેશ મુજબ અમરનાથ ભક્તો હવે ગુફામાં તેમની સાથે મોબાઈલ ફોન પર લઈ જઈ નહીં શકે. શ્રદ્ધાળુઓએ મોબાઈલ ફોન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ હવેથી અંતિમ ચેક પોસ્ટમાં જમા કરાવવાની રહેશે. એનજીટીએ આ સાથે અમરનાથ શ્રાઈન બોર્ડને ભક્તોની ચીજવસ્તુઓ રાખવા માટે સ્ટ્રોંગ રૂમ બનાવવા પણ જણાવ્યું છે.એનજીટીએ શ્રાઈન બોર્ડને અંતિમ ચેક પોસ્ટ બાદ દર્શનાર્થીઓ એક પછી એક અમરનાથ ગુફામાં જઈ શકે તે માટે ભક્તોની એક જ લાઈન બનાવવાની પણ તાકીદ કરી છે. આ સાથે અમરનાથ ગુફામાં ગોઠવવામાં આવેલી લોખંડની ગ્રીલ દૂર કરવાની પણ એનજીટીએ શ્રાઈન બોર્ડને હુકમ કર્યો છે.એનજીટીએ નવેમ્બરમાં વૈષ્ણોદેવી મંદિરે શ્રદ્ધાળુઓની દૈનિક મર્યાદા ૫૦ હજાર નક્કી કર્યા પછી અમરનાથ યાત્રા મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. એનજીટીએ શ્રાઈન બોર્ડને પ્રશ્ન કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ના આદેશનો શા માટે હજુ સુધી અમલ કરાયો નથી ? આ સાથોસાથે એનજીટીએ મંદિર પરિસરમાં નાળિયેર વધેરવા, શ્રદ્ધાળુઓને પૂરી પડાતી સુવિધાઓ, ઉહાપોહ અને શોચાલય જેવા મુદ્દે પણ પૂછપરછ કરી હતી.