ધોરાજીના ભાડેર ગામેથી એક પટેલ પ્રૌઢનું સ્કોર્પિયો કારમાં અપહરણ બાદ ફાયરીંગ કરી હત્યા કરાઈ હતી. બાદમાં ત્રણ અજાણ્યા શખ્શોએ મૃતકની લાશને ધંધુસર-નાંદરખી રોડ પર ફેંકી દીધાનું સામે આવતા ધોરાજી પંથકમાં સનસનાટી મચી ગઈ છે. પાટણવાવ પોલીસ હેઠળ આવતા ભાડેર ગામની આ ઘટનાની તપાસ માટે જેતપુરના ડીવાયએસપી અને પાટણવાવ પોલીસના પીઆઈ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ ‘ખૂનકા બદલા ખૂન’ હોય તેમ મૃતક હત્યાનો નાસતો ફરતો આરોપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ધોરાજી તાલુકાના ભાડેર ગામના ૫૦ વર્ષીય જીવણભાઈ છગનભાઈ સાંગાણીનું ત્રણ અજાણ્યા શખ્સો ભાડેર ગામેથી કાળા કલરની સ્કોર્પિયોમાં અપહરણ કરી ગયા હતા. અપહૃત જીવણભાઈની લાશ ધંધુસર-નાંદરખી વચ્ચેના રોડ પરથી મળી આવી હતી. બનાવની જાણ થતા જ રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદના આદેશથી પાટણવાવ પોલીસના પીઆઈ ગોહિલ તેમજ જેતપુરના ડીવાયએસપી દેસાઈ પોતપોતાના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જીવણભાઈને જઈ પિસ્તોલ કે તમંચા વડે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારાયા હોવાનું ખુલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૨૧-૬ના રોજ ભાડેર ગામે રસ્તે ચાલવા મુદ્દે મુસાભાઈ ઈબ્રાહીમભાઈ ગામેતી નામના મુસ્લિમ પ્રૌઢની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેમાં પાટણવાવ પોલીસે પાંચ શખ્શો સામે ખુનનો ગુનો નોંધી ત્રણને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. જ્યારે જીવણભાઈ સહિતના બે આરોપીઓ પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા. જે અંતર્ગત મુસાભાઈની નજીકના શખ્સોએ જીવણભાઈની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. હાલ પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આગળની પોસ્ટ