કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને અરાજકતાભર્યો ગણાવ્યો છે અને તેમાં આમૂલ પરિવર્તનની હિમાયત કરી છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના તમામ વહીવટકારોની રાજ્ય પોલીસ દ્વારા થયેલી ધરપકડની જેટલીએ ટિકા કરી છે અને એમ કહ્યું છે કે, કોઈને પણ દેશના વર્તમાન માળખાની અવગણના કરવાનો અધિકાર નથી.
એમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદો અરાજકતાભર્યો બની રહ્યો છે અને તેમાં ઘણા સુધારાની જરૂર છે. આ કાયદાનો મુસદ્દો અયોગ્ય રીતે ઘડવામાં આવ્યો છે અને એટલા માટે સરકાર પણ અસહાય બની જાય છે.
પૂણેની પોલીસે ગત ૨૧મી જૂનના રોજ બેન્ક ઓફ મહારાષ્ટ્રના સમગ્ર ટોચના અધિકારીઓને પકડી લીધા હતા. આ લોકો પર એવો આરોપ હતો કે લોન દેવા માટે એમણે તમામ નિયમોનું ઉંંઘન કર્યું છે અને એટલા માટે એમની સામે કાર્યવાહી શરૂ થઈ છે પરંતુ અરૂણ જેટલીએ આ ધરપકડને અયોગ્ય ગણાવી છે અને કહ્યું છે કે, સાચી દિશામાં તપાસ કરીને હકિકતો બહાર કાઢયા બાદ જ પગલાં લેવા જોઈએ.
જેટલીએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓને જ્યારે રાજ્યના અધિકારીઓ વિરૂધ્ધ તપાસ કરવાની હોય છે ત્યારે તેમણે રાજ્ય સરકારો પાસે અનુમતી લેવી પડે છે અને સીબીઆઈ પણ રાજ્યમાં કોઈ અપરાધની તપાસ રાજ્ય સરકારોને પૂછયા વગર કરી શકતી નથી. આ સ્થિતિને નિવારવાની જરૂર છે અને તેમાં આમૂલ પરિવર્તન કરવાની જરૂર છે તો જ ભ્રષ્ટાચાર વિરોધી કાયદો દેશમાં અસરકારક ઢબે કાર્ય કરશે અને તો જ ભ્રષ્ટાચારીઓ કાયદાની જાળમાં સપડાશે.