અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી એમ-૭૭૭ અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપ તેની પ્રથમ ટ્રાયલમાં જ નિષ્ફળ રહી છે. મળતી માહિતી મુજબ પોખરણમાં પરીક્ષણ દરમિયાન આ તોપના ગનનું બેરલ બ્લાસ્ટ થયું હતું.જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ તોપનું ગન બેરલ કેવી રીતે ફાટ્યું તે અંગે ટીમ તપાસ કરી રહી છે. હાલમાં તોપની ટ્રાયલને અટકાવી દેવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, અમેરિકા સાથે થયેલા કરાર અંતર્ગત ભારતને ૧૪૫ હોવિત્ઝર તોપ મળવાની છે. જેમાંથી બે તોપ મે-૨૦૧૭માં ભારતને આપવામાં આવી છે. રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં હોવિત્ઝર તોપનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. જેમાં ભારતીય ગોળાની ક્ષમતાને ભારતીય સેના અને અમેરિકી કંપનીના ઓફિસરો ચકાસી રહ્યાં હતા. તે સમયે ગન બેરલમાં વિસ્ફોટ થયો હતો.ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે કુલ ૧૪૫ એમ-૭૭૭ અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપ ખરીદવાનો કરાર થયો છે. જેમાં દરેક તોપની કીમત આશરે રુપિયા ૩૦ કરોડ જેટલી છે. હોવિત્ઝર તોપને એક્શનમાં આવતા માત્ર ૩ મિનિટનો સમય લાગે છે. અને પેક કરવામાં ૨ મિનિટનો સમય લાગે છે. હોવિત્ઝરમાં ૧૫૫ એમએમના ગોળાનો ઉપયોગ કરવામાં આવે છે.૧૧ ટનની બોફોર્સ તોપની સરખામણીમાં હોવિત્ઝર તોપ ઘણી જ લાઈટ વેઈટ છે. અને સાઈઝમાં પણ તેનાથી અડધી છે. જેથી લાવવા લઈ જવામાં સરળતા રહે છે. હોવિત્ઝરને સમુદ્ર માર્ગે કે હેલિકોપ્ટર દ્વારા પણ લિફ્ટ કરી શકાય છે. હોવિત્ઝર તોપ ૩૦થી ૪૦ કિમી સુધીની રેન્જમાં દુશ્મનોના બંકરને સરળતાથી નષ્ટ કરી શકે છે.વર્ષ ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં ભારતીય સેનાને પરીક્ષણ માટે વધુ ત્રણ તોપ આપવામાં આવશે. ત્યારબાદ માર્ચ-૨૦૧૯માં સેનામાં દર મહિને ૫ તોપ તહેનાત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧ના મધ્ય ભાગમાં તમામ તોપ ભારતને સોંપી દેવામાં આવશે. અને સેનામાં તેને પૂર્ણરુપે તહેનાત કરી દેવામાં આવશે.
પાછલી પોસ્ટ