ભૂલેશ્ર્વરની ગલીમાં નાના ઘરમાં રહીને મસ્જિદબંદરની નરશી નાથા સ્ટ્રીટમાં સીંગલ રૂમમાં નાના પાયે વેપાર શરૂ કરનાર રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની સફર, ઝડપ અને અદ્ભુત સફળતા જોઈને કહેવું પડે કે તેમણે સ્વપ્નને હકીકતમાં ફેરવીને બિઝનેશના નવા યુગના મંડાણ કર્યા હતા. તેઓ સ્વપ્નદૃષ્ટા અને યુગદૃષ્ટા પુરવાર થયા છે. તેમની સાહસિક સફર વિશે આજની પેઢીને જાણવાની ઉત્સુક્તા હોય જ.સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની કાબેલિયત, હાર્ડવર્ક તથા જોખમ લેવાની હિંમતના કારણે તેમણે ઉદ્યોગ જગતમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. સંઘર્ષ ઘણો કર્યો તેમ પડકાર અને સ્પર્ધાનો સામનો પણ કર્યો.બે મહાન યુગદૃષ્ટા એવા રતન તાતા અને ધીરુભાઈ અંબાણીનો જન્મ ડિસેમ્બરની ૨૮ તારીખે જ થયો હતો. ધીરુભાઈનો જન્મ ૧૯૩૨મા જૂનાગઢના ચોરવાડમાં થયો હતો.પિતા શિક્ષક હતા. ધીરુભાઈ ભણતા હતા ત્યારે જ તેમનું મન જુદું જ વિચારતું હતું. ભણતર અધૂરું છોડીને તેઓ એડન ગયા ત્યાં તેમણે કલાર્કનું કામ કર્યું, તેઓ જ્યાં કામ કરતા હતા તે કંપની વિશ્ર્વભરમાં ગૂડઝ સપ્લાય કરતા હતા, ત્યાં વેપારની આંટીઘૂંટી શીખ્યા.એડનની જ એક ગુજરાતીની કંપનીમાં કામ કરીને હિસાબી કામ શીખ્યા, તે ઉપરાંત બૅંક, વીમા અને શિપિંગ કંપનીઓ સાથે કામ કેવી રીતે કરવું તે શીખ્યા. પેટ્રોલ પમ્પમાં પણ કામ કર્યું ત્યારે જ તેમણે સ્વપ્ન જોયું હતું કે, મારો પોતાનો પેટ્રોલ પંપ પણ હશે, ઑઈલ રિફાઈનરી હશે, તે સ્વપ્ન વર્ષો બાદ સાકાર થયું. હાલ ગુજરાતમાં વિશાળ રિફાઈનરી છે, તે દર્શાવે છે કે તેઓ સ્વપ્નદૃષ્ટા હતા. ૨૫-૨૬ વર્ષે પાયાનું જ્ઞાન મેળવી લીધું.૧૯૫૮ પછી ભારત આવ્યા. મુંબઈમાં મસ્જિદબંદરમાં ગોળ, ખાંડ, સોપારીનો વેપાર કરવા માંડ્યો. શરૂઆતમાં મસાલા વિદેશમાં મોકલતા. મોટા વોલ્યુમ અને ઓછા માર્જિનથી શરૂઆત કરી. ચીન હાલ જે નીતિ અપનાવે છે તે તેમણે વર્ષો અગાઉ અપનાવીને દૂરંદેશીપણું દર્શાવ્યું હતું. મોટાપાયે ઉત્પાદન કરીને ઉત્પાદન ખર્ચ નીચો રાખીને વિશ્ર્વભરમાં માલ ઠાલવે છે, નફાનો ગાળો ઓછો રાખે છે.બાદમાં તેમણે યાર્ન બજારમાં ઝંપલાવ્યું. યાર્નના રિપોર્ટ લખાવવા તેઓ પત્રકારોને બોલાવતા હતા. ત્યારબાદ તેમણે ટેક્સટાઈલ ક્ષેત્રે ઝંપલાવ્યું. ટેક્સટાઈલ માટે જે જરૂરી છે, તેના માટે બીજા પર આધારિત રહેવાને બદલે પોતે જ બધું બનાવવા માંડ્યું.૧૯૬૬માં દેશમાં બૅંકોનું રાષ્ટ્રીયકરણ થયું તે ગાળામાં તેમણે નરોડા-અમદાવાદમાં ટેક્સટાઈલ મીલ સ્થાપી. બૅસ્ટ ક્વોલિટીનું નાયલોન મોટાપાયે બનાવવાનું શરૂ કર્યું. કામદારોની સંખ્યા વધારી. રોડ પર આવીને માલ સીધો રિટેલરોને વેચવા માંડ્યો. આ પદ્ધતિ વર્ષો બાદ અન્ય કંપનીઓએ અપનાવી. આક્રમક માર્કેટિંગ નીતિ અપનાવી અને જન્મ થયો વિશ્ર્વવિખ્યાત “ઓનલી વિમલ બ્રાન્ડનો. ૧૯૭૨માં ભારતમાં એશિયાડ કપનું આયોજન થયું ત્યારે આ બ્રાન્ડ ઘરઘરમાં જાણીતી થઈ ગઈ.આ જ વર્ષે દેશમાં ટીવીનું આગમન થયું હતું. મોટા પુત્ર મૂકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપમાં જોડાયા બાદ બે વર્ષ પછી અનિલ અંબાણી જોડાયા. આ ત્રિપુટીએ પછી પાછળ વળીને જોયું નહીં.
૧૯૭૭મા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો પ્રથમ પબ્લિક ઈસ્યુ આવ્યો તેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ સમયગાળામાં બે ગુજરાતીએ ઈતિહાસ સર્જી દીધો હતો. દેશમાં પ્રથમ વાર બિનકૉંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના વડા પ્રધાનપદે આવી હતી. બિઝનેશમાં ધીરુભાઈ અંબાણીનો સિતારો ચમકવા માંડ્યો હતો.૨૦૦૨માં બીજો પબ્લિક ઈસ્યૂ આવ્યો. શેરધારકોની સંખ્યા લાખોમાં થઈ ગઈ. શેરધારકોને માલામાલ કરી દીધા. રિલાયન્સના શેર લઈને ઘણા લોકો લખપતિ-કરોડપતિ થઈ ગયા. આ કંપનીના શેરે બજારમાં ઘણી ઊથલપાથલ પણ કરાવી છે. આજે પણ ટોપ પાંચમા આ શેર આવે છે. વિશ્ર્વબૅંકની ટીમ રિલાયન્સના ટેક્સટાઈલ યુનિટની મુલાકાતે આવી ત્યારે પ્રભાવિત થઈ હતી.૧૯૮૬મા ધીરુભાઈને પ્રથમ સ્ટ્રોક આવ્યો અને પેરાલિસિસની અસર થઈ. જોકે, તેમના પુત્ર મૂકેશ અને અનિલે રિલાયન્સનો કંટ્રોલ મેળવી લીધો અને ગાડી પૂરપાટ દોડવા લાગી.
સ્વપ્નદૃષ્ટા અને દીર્ઘદષ્ટિવાળા ધીરુભાઈએ નાખેલા પાયા પર તેમના પુત્રોએ વિશાળ અને વિભિન્ન ઉદ્યોગ ધરાવતું સામ્રાજ્ય ઊભું કર્યું.આ ગ્રુપના ૨,૫૦,૦૦૦થી વધુ સ્ટાફ છે. ઉચ્ચકક્ષાની નિષ્ણાતોની ટીમ છે. સરકારની રેવન્યુમાં મોટો હિસ્સો છે. મસાલાથી લઈને મોબાઈલ સુધીના બિઝનેશમાં જવલંત સફળતા મેળવી છે. સંયુક્ત સંપત્તિ છ અબજ ડૉલરને વટાવી ગઈ હતી.
ધીરુભાઈ જૂની અને હાલની પેઢી માટે પ્રેરણાદાયક રહ્યા છે. એક યુગમાં આવી બિઝનેશ માઈન્ડેડ વ્યક્તિ જવલ્લે જ જોવા મળે છે જે ખરેખર યુગદૃષ્ટા સાબિત થયા છે.ધીરુભાઈના અમુક ક્વોટ જાણવા છે. તેઓ હંમેશાં કહેતા કે મોટું વિચારો અને અલગ વિચારો. ઝડપથી વિચારો અને આગળનું વિચારો. નફો આપણે વહેંચીશું અને ખોટ જશે તો હું ભોગવીશ એવું શેરધારકોને કહેતા. રિલાયન્સના એજીએમમાં જગ્યા નાની પડતી હતી.”થીન્ક લોકલી અને એક્ટ ગ્લોબલી એવું સૂત્ર આપ્યું હતું. આવું જ સૂત્ર લઈને ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે. સરકારે તેમની સેવાની નોંધ લઈને બીજા નંબરનું સન્માન પદ્મવિભૂષણ આપ્યું હતું. ફોર્ચ્યુન, ફોર્બ્સ, ટાઈમ્સ મેગેઝિન, એશિયા વીક સહિત વિશ્વભરના મીડિયાએ તેમની નોંધ અવારનવાર લીધી છે.ધીરુભાઈના જીવનમાંથી પ્રેરણા લઈને ૨૦૦૭મા ગુરુ નામની ફિલ્મ આવી હતી અને હીટ થઈ હતી. રસાયણ ઉદ્યોગે એક સન્માન કાર્યક્રમમાં ધીરુભાઈને સંપત્તિનું વિપુલ સર્જન કરનાર સદીના મહામાનવ ગણાવ્યા હતા. આ ગ્રુપે સ્કૂલ-કૉલેજ, હૉસ્પિટલ ઊભી કરી છે. મુંબઈ ઈન્ડિયન ક્રિકેટ ટીમ પણ ખરીદી હતી.ધીરુભાઈને બીજો સ્ટ્રોક ૨૦૦૨માં જોરદાર આવ્યો. કોમામાં ઘણા દિવસ રહ્યા બાદ તેમને બચાવવા અનેક દવા અને દુઆ થઈ પરંતુ બચાવી શક્યા નહીં. ૬ જુલાઈ ૨૦૦૨માં દેવલોક પામ્યા. તેમના અવસાન બાદ કમનસીબે કે વ્યૂહરચનાના ભાગરૂપે બંને ભાઈઓએ બિઝનેશ અલગ કરી દીધો.ધીરુભાઈએ વિમલ બ્રાન્ડ ઘરઘરમાં જાણીતી કરી તેમ મૂકેશ અંબાણીએ રિલાયન્સ જીઓને જાણીતી કરી. આ ગ્રુપને નવી ઊંચાઈએ લઈ ગયા. રિલાયન્સ ઑઈલ, કેમિકલ, પેટ્રોકેમિકલ, ટેલિકોમ, ઊર્જા પાવર, કેપિટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક ક્ષેત્રમાં કાર્યરત છે. અપવાદરૂપે અખબાર જગતમાં ધીરુભાઈને સફળતા મળી નહીં. જૂની-નવી પેઢી બંને માટે માત્ર તાતા કહો એટલે બીજી કોઈ ઓળખાણની જરૂર નથી. ‘તાતા’ નામ હી કાફી હૈ’ જમશેદજી તાતા, જે. આર. ડી. તાતાથી લઈને રતન તાતા એટલે તાતાની બિઝનેસ ઈમારતના સ્તંભ.ફક્ત ભારત જ નહીં, વિશ્ર્વભરમાં તાતાનું નામ સન્માનપૂર્વક લેવાય છે તાતા ગ્રુપ સામાન્ય માણસ-ગરીબવર્ગથી લઈને મધ્યમ અને અમીરવર્ગ માટે કંઈને કંઈ બનાવે છે. એટલે બધાના રોજિંદા જીવન સાથે તાતા સંકળાયેલું છે. ચા-મીઠાથી લઈને કૃષિ રસાયણ, પાવર, ટેલિકોમ, ઑટોમોબાઈલ, સ્ટીલ, હોટલ, ઉડ્ડયન, સોફ્ટવેર સર્વિસ, તેલ-ગેસ વિ.નો સમાવેશ છે.તાતા ગ્રુપ ક્ધઝયુમર ઈલેક્ટ્રોનિક્સ, હૉસ્પિટલ-આરોગ્ય સેવા, શિક્ષણ સાથે પણ સક્રિય છે. આપણે સવારે ઊઠીએ ત્યારથી રાતે સૂઈએ ત્યાં સુધી દરેક તબક્કે તાતા પ્રોડક્ટની જરૂર પડે છે.તાતા કંપની ક્વોલિટી માટે બાંધછોડ કરતી નથી. તાતા ગ્રુપને ઊંચાઈએ લઈ જનાર તાતાનું રતન એટલે રતન તાતા વિશે સંક્ષિપ્તમાં જાણીએ. જમશેદજી તાતા સ્થાપક હતા. આઝાદી પહેલાં તાતાની પ્રગતિ ધીમી હતી. સ્વતંત્રતા બાદ તેમાં સુધારો આવ્યો. ૧૯૯૦ બાદ રતન તાતા ચેરમેન બન્યા બાદ વેગ આવ્યો. રતન તાતા તેમના પુરોગામીની જેમ સ્વપ્નદૃષ્ટા અને દૂરંદેશીવાળા છે. તેમણે બિઝનેસનો યુગ બદલી નાખ્યો અને યુગદૃષ્ટા બન્યા. સમય પહેલાં જ પરિવર્તન કર્યા તે તેમની દીર્ઘદૃષ્ટિ દર્શાવે છે.પારસીઓનું અખબાર જગતમાં મોટું યોગદાન છે. તેમ ઉદ્યોગ જગતમાં મોટો સિંહફાળો છે. ફોર્ટ એરિયામાં આ અખબારના ઑફિસ-પ્રિન્ટિંગ પ્રેસ સૌથી જૂના છે તેમ તાતાનું બૉમ્બે હાઉસ પણ ઘણું જૂનું છે.રતન તાતાનો જન્મ મુંબઈમાં ૧૯૩૭માં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ-સિમલામાં લીધું છે. ત્યાર બાદ કોન્વેન્ટ યુનિવર્સિટી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં શિક્ષણ લીધું. બી. આર્કિટેક્ચરની ડિગ્રી તથા એડવાન્સ મૅનેજમેન્ટનો કોર્સ કર્યો.રતન તાતા ર૩મા વર્ષે તાતા ગ્રુપમાં જોડાયા તેમણે અનેક હોદ્દા પર કામ કર્યું બધી રીતે ઘડતર થયા બાદ ૩૦ વર્ષ પછી એટલે કે ૧૯૯૦-૯૧માં તેઓ તાતા સન્સ સહિત ગ્રુપના ચેરમેન બન્યા. આ સમય દરમિયાન દેશમાં ઉદારીકરણની હવા જામી હતી જેનો લાભ લઈને તાતા ગ્રુપે નવી ઉડાન ભરવા માંડી રતન તાતા ર૧ વર્ષ સુધી ચેરમેનપદે રહ્યા અને ૭૫માં વર્ષે આ હોદ્દા પરથી સ્વૈચ્છિકપણે હઠી ગયા.તેમના નેતૃત્વ હેઠળ રેવન્યુ ૪૦ ગણી વધી અને નફો પ૦ ગણો વધ્યો. ઘણી કંપની હસ્તગત કરી. ર૦૧૧-૧૨માં ગ્રુપ રેવન્યુ ૧૦૦ અબજ ડૉલરને વટાવી ગઈ. ફોર્બ્સ, ફોરર્ચુન, ટાઈમ્સ વીક સહિત તમામ સ્તરે તેમની નોંધ લેવાઈ. તાતા ગ્રુપની કંપનીની પાછી લખવા બેસીએ તો એક નાની પુસ્તિકા થઈ જાય.
અહીં મુખ્ય કંપનીનો ઉલ્લેખ કરાયો છે. જેમાં તાતા મોટર્સ-સ્ટીલ, તાતા પાવર-ટી, ટીસીએસ, તાતા સન્સ, તાતા કેમિકલ, ઈન્ડિયન હોટેલ, તાતા ટેલિ સર્વિસ, તાતા ગ્લોબલ બિવેરેજીસનો સમાવેશ છે.તાતા ગ્રુપે મીઠા-ચાથી લઈને મોટર સહિત વિભિન્ન ઉદ્યોગમાં સફળતા મેળવી. પિતા નવલ તાતા અને માતા સનુ છૂટા પડ્યાં ત્યારે રતન ૧૦ વર્ષ અને ભાઈ ૭ વર્ષનો હતો. તેમનો ઉછેર દાદીએ કર્યો.રતન તાતા ફક્ત બિઝનેસમાં જ સક્રિય રહ્યા નથી દેશ-વિદેશના વિવિધ ઑગ્રેનાઈઝેશન સાથે સંકળાયેલા છે. પરોપકારી-સેવા પ્રવૃત્તિ કરતા બે મોટા ટ્રસ્ટમાં ચેરમેન છે. વેપાર-ઉદ્યોગ સંબંધી વડા પ્રધાનની કાઉન્સિલના સભ્ય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના પ્રમુખ તથા તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચની મૅનેજમેન્ટ કાઉન્સિલના ચેરમેન છે.કોર્નેલ યુનિવર્સિટી અને સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના ટ્રસ્ટી બોર્ડ તથા મિત્સુબિશી કોર્પોરેશનના ઈન્ટરનેશનલ સલાહકાર બોર્ડ તથા સિંગાપોર મોનેટરી ઓથોરિટીના બોર્ડમાં પણ છે. તાતા ટીએ ટેટલી, તાતા મોટર્સ જગુઆર લૅન્ડ રોવર, તાતા-સ્ટીલે કોરસ હસ્તગત કરી છે. હાલમાં જ ભૂષણ સ્ટીલ ખરીદી.કાર એ થોડા વર્ષ અગાઉ લક્ઝરી આઈટમ હતી, પરંતુ તેમની સ્વપ્નદૃષ્ટિ જુઓ. મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગને પરવડે તેવી કાર બનાવવા કોઈને વિચાર આવ્યો નહીં. તેમણે ગુજરાતના સાણંદ ખાતે નેનો કાર બનાવવાનું શરૂ કર્યું.તેમના દૂરંદેશીપણાને કારણે તાતાએ ઈલેક્ટ્રિક કાર બનાવવા તરફ ટર્ન માર્યો છે. પેટ્રોલ-ડિઝલ, સીએનજી મોઘું પડે છે. પર્યાવરણ વધારે છે અને આયાતના મોટા બિલને કારણે અર્થતંત્રને અસર કરે છે. તાતા મોટર્સ ટિગોર ઈલેક્ટ્રિક વાહન તરફ વિશેષ ધ્યાન આપી રહી છે જે ગુજરાતના સાણંદમાં તૈયાર થશે. મોદી સરકારનું પણ સ્વપ્ન છે કે ર૦૩૦ સુધીમાં રસ્તા પર ઈલેક્ટ્રિક વાહન જ હોવા જોઈએ. એ સ્વપ્ન સાકાર કરવા તાતા સક્રિય બન્યા છે.ગ્લોબર વોર્મિંગ, પ્રદૂષણ સુરક્ષા ઉપરાંત બળતણના ઊંચા ભાવ સામે ઈલેક્ટ્રિક વાહન જ ઉત્તમ માર્ગ છે. ઈલેક્ટ્રિક કારની માગ વધી રહી છે. તાતા મોટર્સને અત્યારથી જ મોટો ઓર્ડર પણ મળી ગયો છે.તાતા ગ્રુપનું વેચાણ ૧૦૦ દેશોમાં થાય છે. દરેક દેશમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તાતાએ સ્નેપડીલ, ઓલાકેબ, પેટીએમમાં મોટું રોકાણ કરેલું છે. ચાઈનીઝ સ્માર્ટફોન સ્ટાર્ટઅપ ઝીયોમીમાં મોટો હિસ્સો ખરીદ્યો છે.રતન તાતા ડિસેમ્બર ર૦૧૨માં ૭૫માં વર્ષે ચેરમેનપદેથી હટી ગયા. તેમના સ્થાને શાપુરજી પાલનજી ગ્રુપના પાલનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રી ચેરમેન બન્યા. અમુક અનિવાર્ય કારણસર સાયરસને તાતા સન્સના ચેરમેન પદેથી હટાવાયા. વચગાળાના ચેરમેન તરીકે રતન તાતા ૭૯મા વર્ષે ચેરમેન બન્યા. એક વર્ષ બાદ તાતા પરિવારના બહારની વ્યક્તિ બિનપારસી એવા નટરાજન ચંદ્રશેખરન્ ૧૯૧૭થી ચેરમેનપદે છે.રતન તાતા તેમની સંપત્તિ પૈકી મોટો ભાગનું સમાજને અને જરૂરિયાતમંદને અર્પણ કરી રહ્યા છે. ખરેખર તેઓ તાતા ગ્રુપનું જ નહીં, પણ સંપૂર્ણ દેશનું રતન છે. તાતા જૂથ શિક્ષણ, આરોગ્ય, કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે પરોપકારી પ્રવૃત્તિ કરી રહ્યું છે.રતન તાતાએ વેપાર-ઉદ્યોગ ઉપરાંત પરોપકારી પ્રવૃત્તિ માટે જે કામ કર્યું તેની નોંધ સરકારે લઈને દેશના સૌથી મોટા સન્માન એવા પદ્મભૂષણ અને બાદમાં પદ્મવિભૂષણ આપ્યું હતું. સરકારે આ રીતે સન્માનનું મૂલ્ય વધાર્યું એમ કહીએ તો ખોટું નથી. સૌથી સર્વોચ્ચ સન્માન ભારતરત્ન તેમને મળે તો નવાઈ નહીં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ