કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા કુંવરજી બાવળિયાને કલાકોના ગાળામાં જ મંત્રી બનાવી દેવામાં આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં જોરદાર ગરમી જામી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત કેબિનેટમાં કુંવરજી બાવળિયાને સામેલ કરવામાં આવ્યા હતા. આજે તેમને કેબિનેટ મંત્રી તરીકે ગુપ્તતા અને હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
રાજ્યપાલ ઓપી કોહલીએ કુંવરજી બાવળિયાને શપથ લેવડાવ્યા હતા. તે પ્રસંગે તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રૂપાણી કેબિનેટના તમામ પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થાય છે.
બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા બાદ ભાજપના કેટલાક સભ્યોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. બીજી બાજુ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવીને પરંપરાગતરીતે ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા, આરસી ફળદુ, સૌરભ પટેલ, ભરતસિંહ પરમાર, કોળી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાવળિયાની સાથે અનેક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં સામેલ કરવામાં આવ્યા બાદ વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વર્ષોથી ગરીબ, ગામડુ અને ખેડૂતોની સેવામાં કાર્યરત રહેલા સાચા સમાજ સેવક અને લોકનેતા કુંવરભાઈ બાવળિયાનું ભાજપમાં સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવ કરુ છું.
તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના બક્ષીપંચ સમાજોનું નેતૃત્વ કરતા લોકનેતાના સમાવેશથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે. સાથે મળીને છેવાડાના માનવીના વિકાસના કામ કરતા રહીશું. જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોકસેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસમાં આંતરકલહ અને વાદવિવાદ ચરમસીમા પર છે. પાર્ટીમાં ચાલી રહેલી નારાજગીના પરિણામ સ્વરુપે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાંચ વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અગાઉ કોંગ્રેસ અને જસદણ સીટથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં સામેલ થયાના કલાકો બાદ જ તેમને મંત્રીપદના શપથ લઇ લીધા હતા.
કોંગ્રેસ માટે આને મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. બાવળિયા થોડાક દિવસ પહેલા જ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ પણ તેમની નારાજગી રહી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે, બાવળિયા કોંગ્રેસથી ખુશ ન હતા. આજે સાંજે બાવળિયાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વથી તેમની નારાજગી યથાવત હતી. બાવળિયાના ટેકાના લીધે સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રભાવ જારી રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેઓ સંપૂર્ણ સમર્પિત ભાવથી ભાજપમાં જોડાયા હોવાનો દાવો વાઘાણીએ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, કુંવરજીના વર્ષોના અનુભવનો પાર્ટી લાભ લશે.