દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં આજે સતત ભારે વરસાદ જારી રહેવાના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. અનેક વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદના કારણે અંધેરીમાં રેલવે બ્રીજનો એક હિસ્સો તુટી પડતા કેટલાક લોકોને ઇજા થઇ હતી. રેલવે બ્રીજનો હિસ્સો તુટી પડ્યા બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવર જવરને રોકી દેવામાં આવી હતી. જો કે, મોડેથી ટ્રેન સેવાને પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા બાદ ઘણી ટ્રેનો ફરી શરૂ થઇ હતી. અન્ય સેક્શનો ઉપર ટ્રાફિકને સામાન્ય કરવાના પ્રયાસો જારી રહ્યા હતા. અંધેરી સ્ટેશન પર આશરે એક ફુટ સુધી ઓવર બ્રિજ તુટી પડ્યા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આ બનાવમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. વરસાદ અને બ્રિજ દુર્ઘટનાના પરિણામ સ્વરુપે અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ઘણી ટ્રેનોના ટાઇમટેબલ બદલવામાં આવ્યા હતા. સેન્ટ્રલ રેલવેના યાત્રીઓને ભીડને ધ્યાનમાં લઇને ઘાટકોપર સ્ટેશની કેટલીક ટ્રેનોના રૂટ વધારી દેવામાં આવ્યા હતા. અંધેરી વિસ્તારમાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ગોખલે બ્રીજ અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એક સાથે જોડે છે. આ બનાવ બન્યા બાદ લોકલ સેવા પર અસર થઇ હતી. અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનની સેવાને રોકી દેવામાં આવી હતી. વિલે પાર્લે લાઇન પર પણ લોકલ ટ્રેનો મોડેથી દોડી હતી. સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇનો, હાર્બર લાઇન, ટ્રાન્સ હાર્બર લાઇન પર હજુ સુધી ટ્રેન સેવા સામાન્ય રીતે ચાલી હતી. બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો હતો. જેના કારણે તમામ છ લાઇનના ઓએચઇ વાયર તુટી ગયા હતા. આગામી પાંચ છ કલાક સુધી અંધેરીથી ચર્ચગેટ સુધી લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઇ હતી. મળેલી માહિતી મુજબ સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ અંધેરી સ્ટેશન પર એક રોડ બ્રિજનો હિસ્સો તુટી પડ્યો હતો. જેના કારણે પશ્ચિમી રેલવે પર લોકલ સેવા ઠપ ગઇ હતી. આ બ્રિજ અંધેરી સ્ટેશન દક્ષિણ કિનારે સ્થિતી છે. તે પૂર્વથી પશ્ચિમ માર્ગ પરિવહનને જોડે છે. મુંબઇમાં સતત ભારે વરસાદના કારણે લોકો સવારમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવા બંધ થતા સવારમાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદ હજુ જારી રહે તેવી શક્યતા છે. મુંબઈ બ્રિજ દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા જેમાં પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ મામલામાં તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રેલવેમંત્રી પીયુષ ગોયેલે તપાસનો આદેશ કર્યો હતો. બીજી બાજુ ભારે વરસાદના કારણે આજે જે લોકોની અહીં પરીક્ષા છુટી ગઈ હતી તેને મુંબઈ યુનિવર્સિટી દ્વારા ફરી લેવામાં આવશે. કિંગ્સ સર્કલ, માટુંગા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બ્રિજ દુર્ઘટનામાં રેલવે સેફ્ટી કમિશન દ્વારા તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ બ્રિજ દુર્ઘટનાના સંદર્ભમાં માહિતી મેળવી હતી. દરમિયાન મુંબઈ નજીક થાણેમાં એક મકાનની દિવાલ પડી જતાં એકનું મોત થયું હતું. રેલવેમંત્રી પીયુષ ગોયેલે ઉપનગરીય મુંબઈ રેલ નેટવર્કમાં તમામ બ્રિજના જોઇન્ટ સેફ્ટી ઓડિટનો આદેશ કર્યો હતો. આઈઆઈટી મુંબઈના નિષ્ણાતોના નેતૃત્વમાં આ ઓડિટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી બાજુ ઘાયલ થયેલા તમામ પાંચ લોકોને એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ તેમની સારવાર અંગેનો ખર્ચ પણ રેલવે ઉપાડશે. કમનસીબ બનાવમાં તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટીને ૧૫ દિવસનો સમય આના માટે આપવામાં આવ્યો છે. ગોયેલે કહ્યું હતું કે, મુંબઈના અંધેરી વેસ્ટમાં આજે સવારે બનેલી ઘટના ચિંતાજનક અને દુખદ છે પરંતુ તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે અને તમામ બ્રિજમાં સુરક્ષાની કામગીરીને હાથ ધરવામાં આવશે. અંધેરી નજીક સવારમાં હાર્બર લાઈન પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગયા બાદ આને ફરી શરૂ કરી દેવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ