ભારે વરસાદ બાદ નેપાળના રસ્તા કૈલાશ માનસરોવર જઇ રહેલા ભારતીય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ફસાઈ ગયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ફસાઈ ગયેલા શ્રદ્ધાળુઓ પૈકી બે શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા છે જ્યારેનેપાળમાં ફસાયેલા ૧૦૪ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. આશરે દોઢ હજાર શ્રદ્ધાળુઓ હજુ પણ ફસાયેલા છે.
એમ કહેવામાં આવી રહ્યું છે કે, સીમીકોટમાં ફસાયેલા ૫૨૫ શ્રદ્ધાળુઓને બચાવવા માટે બે કોમર્શિયલ ફ્લાઇટોને ઉતારવામાં આવી છે. બીજી બાજુ હિલ્સામાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા માટે બચાવ ઓપરેશન ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશના બે શ્રદ્ધાળુઓના મોત થઇ ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઉપર નજર રાખી રહ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટિ્વટ કરીને કહ્યું છે કે, ફસાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત કાઢવા માટે નેપાળ સરકારથી સેનાના હેલિકોપ્ટરની મદદ લેવા માટે અપીલ કરવામાં આવી છે. મોદી પોતે શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવી રહેલા બચાવ કામને લઇને વિદેશમંત્રાલય અને અન્ય અધિકારીઓના સંપર્કમાં છે. વડાપ્રધાને અધિકારીઓને ભારતીયોની સુરક્ષા માટે બનતા તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે. નેપાળમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ શ્રદ્ધાળુઓની સતત મદદ કરી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે હિલ્સામાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે ૧૦૪ કૈલાશમાનસરોવર શ્રદ્ધાળુઓને સીમીકોટથી હિલ્સા લાવવામાં આવ્યા છે. નેપાળગંજથી સીમીકોટ માટે સાત ફ્લાઇટો ઓપરેટ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના શ્રદ્ધાળુ સુબ્બારાવની નેપાળમાં મૃત્યુના સમાચાર મળ્યા છે. તેમના મૃતદેહને નેપાળગંજ લાવવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ તેમના પાર્થિવ શરીરને વતન મોકલવામાં આવશે. કૈલાશ માનસરોવર યાત્રાના રસ્તામાં ૧૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓ અટવાયેલા હતા. હજુ પણ ૫૨૫ શ્રદ્ધાળુઓ સીમીકોટમાં, ૫૫૦ શ્રદ્ધાળુઓ હિલ્સામાં અને તિબેટની નજીક ૫૦૦ શ્રદ્ધાળુઓ અટવાયેલા છે. ભારતીય દૂતાવાસ નેપાળગંજ, સીમીકોટ અને હિલ્સામાં પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.
આજે સવારે ખરાબ હવામાનની સ્થિતિ રહી હતી. નેપાળમાં ભારતીય દૂતાવાસે પરિવારજનો માટે જુદી જુદી ભાષામાં હોટલાઈન નંબર જારી કર્યા છે.
સુષ્મા સ્વરાજ પોતે સતત સંપર્કમાં રહેલા છે. કૈલાશ માનસરોવરના રસ્તામાં કર્ણાટકના ૨૯૦ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. ભારે વરસાદના કારણે આ તમામ લોકો ફસાયેલા છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ નવી દિલ્હીમાં કર્ણાટક ભવનમાં રેસીડેન્ટ કમિશનરને શ્રદ્ધાળુઓની સુરક્ષાની ખાતરી કરવા બનતા તમામ પગલા લેવા સૂચના આપી છે.
કૈલાશ માનસરોવર યાત્રામાં ફસાયેલા લોકોને લઇને શ્રદ્ધાળુઓના સગાસંબંધીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા બાદ લોકો આના પર જરૂરી માહિતી મેળવી શકે છે. મોદી સરકાર પ્રથમ વખત જોરદારરીતે સક્રિય દેખાઈ રહી છે અને માહિતી મેળવવાના સતત પ્રયાસો કરી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ