વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંત કબીરના બહાને રાજકીય વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સંત કબીરની ૫૦૦મી પુણ્યતિથિ ઉપર તેમના નિર્માણ સ્થળ મગહરમાં વડાપ્રધાન મોદીએ મહાપુરુષોના નામ ઉપર રાજનીતિ, પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદ પર પ્રહારો કર્યા હતા અને ઇમરજન્સીના બહાને કોંગ્રેસ અને જનતા પરિવારના હિસ્સા રહી ચુકેલી પાર્ટીઓના ગઠબંધનને સત્તાના લાલચ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે, મહાપુરુષોના નામ ઉપર કમનસીબરીતે રાજનીતિના પ્રવાહ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે સમાજને નુકસાન પહોંચાડે છે. માત્ર લડાઈ ઝઘડાની રાજનીતિ કરવામાં આવી રહી છે. આ લોકો શાંતિ અને વિકાસના બદલે લડાઈ ઝગડાની રાજનીતિ ઇચ્છે છે. આ પ્રકારના લોકોને લાગે છે કે, જો અશાંતિ રહેશે તો રાજનીતિને ફાયદો મળશે. વાસ્તવિકતા એ છે કે, આ પ્રકારના લોકો હવે સમાજથી દૂર થઇ ચુક્યા છે. આ પ્રકારના લોકોએ કબીરને ક્યારે પણ ઓળખ્યા ન હતા. તાજેતરના આવાસ વિવાદ તરફ ઇશારો કરતા વડાપ્રધાને નામ લીધા વગર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તેમને યાદ છે કે, જ્યારે ગરીબો માટે પીએમ આવાસ યોજના શરૂ થઇ ત્યારે અગાઉની સરકારમાં રહેલા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. અગાઉની સરકારો ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસની સંખ્યા ક્યારેય બતાવતી નથી પરંતુ તેમને પોતાના ભવ્ય બંગલાઓની ચિંતા હતી. જ્યારથી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવી છે ત્યારથી ઉત્તરપ્રદેશમાં ગરીબો માટે રેકોર્ડ આવાસનું નિર્માણ થઇ રહ્યું છે. મોદીએ ઇમરજન્સીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને જનતા પરિવાર હિસ્સા રહી ચુકેલા પક્ષોને પણ લઇને તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, કબીરે મોક્ષ માટે ક્યારે પણ લાલચ કરી ન હતી પરંતુ સમાજવાદ અને બહુજનને તાકાત આપવાના નામ ઉપર રાજકીય પક્ષોને સત્તાના લાલચને જોઇ શકાય છે. મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૮૦ લાખથી વધારે મહિલાઓને ઉજ્જવળા યોજના હેઠળ ગેસ કનેક્શન, એક કરોડ ૭૦ લાખ લોકોને એક રૂપિયા મહિને વિમા સુરક્ષા કવચ અને બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. આયુષ્યમાન ભારત હેઠળ ગરીબોને સસ્તા અને સરળરીતે આરોગ્યની સુવિધા અપાઈ રહી છે. સંત કબીરને કર્મયોગી તરીકે ગણાવીને મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર કબીરના રસ્તા પર આગળ વધી રહી છે. ભારતની એક એક ઇંચ જમીનને વિકાસ સાથે જોડવામાં આળી રહી છે. કબીરે એક વખતે કહ્યું હતું કે, કાલ કરે શો આજ કર. તેમની સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, કબીર કર્મયોગી હતા. મગહરમાં સંતકબીરના નામ ઉપર કેટલીક સંસ્થાઓના નિર્માણની જાહેરાત કરવામાં આવી ચુકી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ મહાત્મા કબીરની સ્મૃતિઓને એકત્રિત કરનાર સંસ્થાઓના નિર્માણ માટે કરાશે.
આગળની પોસ્ટ