Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સેનાનું ઓપરેશન ઓલઆઉટ શરૂ : ચાર ત્રાસવાદી ઠાર થયા

જમ્મુ કાશ્મીરમાં રમઝાનના ગાળા દરમિયાન મહિના સુધી આતંકવાદ વિરોધી ઓપરેશનને બંધ રાખવામાં આવ્યા બાદ હવે યુદ્ધવિરામનો અંત કરી દેવામાં આવ્યો છે. આજથી જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ-૨ ફરી શરૂ થયું હતું. પ્રથમ દિવસે જ ત્રાસવાદીઓ સામે સેના તુટી પડી હતી અને ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્રાસવાદીઓ પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અન્યત્ર છુપાયેલા આતંકવાદીઓને પણ હવે ખાત્મો નિશ્ચિત દેખાઈ રહ્યો છે. આજે બિજબહેરા અને બાંદીપોરામાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું. બીજબહેરામાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરાયું હતું જે દરમિયાન અથડામણમાં ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ મહિનામાં અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન હુમલાની દહેશત રહેલી છે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે મળેલી બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં વધી ગયેલી આતંકવાદી હિંસા અને પથ્થરબાજીની ઘટના બાદ લોકોના આક્રોશ વચ્ચે યુદ્ધવિરામની અવધિને નહીં લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સેનાને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા છુટો દોર આપી દીધો હતો. ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કાશ્મીરમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ આ ગાળા દરમિયાન કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની સંખ્યામાં જંગી વધારો થયો હતો. ત્રાસવાદીઓએ સેનાને ટાર્ગેટ બનાવીને અનેક હુમલા કર્યા હતા. હાલના દિવસોમાં જ રાઇઝિંગ કાશ્મીરના એડિટર સુજાત બુખારીની હત્યા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જ કેન્દ્ર સરકારના આ નિર્ણયની વ્યાપક ટિકા થઇ રહી હતી. ઇદ બાદ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં યુદ્ધવિરામને નહીં લંબાવવાનો આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો. હુમલા, હિંસા અને હત્યાઓને રોકવા માટે સેના હવે પોતાનીરીતે કાર્યવાહી કરી શકે છે. યુદ્ધવિરામના ગાળા દરમિયાન પાકિસ્તાને તેની નાપાક હરકતો સરહદ ઉપર જારી રાખી હતી. યુદ્ધવિરામનો ભંગ કરીને વારંવાર ગોળીબાર કર્યો છે. બીજી બાજુ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર હુમલાની ઘટનાઓ વધી હતી. સરહદ ઉપર ગોળીબારમાં નવસેરા સેકટરમાં ભારતીય જવાન શહીદ થયા હતા. બીજી બાજુ અરણીયા સેકટરમાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગે ઈદના પ્રસંગે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી હતી. બીએસએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ કરીે ગોળીબારનો સીલસીલો જારી રહ્યો છે.રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રણ ડઝનથી વધુ લોકોને ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી ચુક્યા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે . સરહદે પાકિસ્તાને નાપાક હરકત જારી રાખી છે.

Related posts

પોતાનો પુત્ર વડાપ્રધાન ન બની શકતા સોનિયા ગાંધી દુખી છે : ભાજપ

editor

રાંધણ ગેસ / સબસિડીવાળો સિલિન્ડર ૬.૫ અને સબસિડી વગરનો સિલિન્ડર ૧૩૩ રૂપિયા સસ્તો થયો

aapnugujarat

हमने जो किया सही किया, हमारे काम से संतुष्ट हूं : खट्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1