ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં આજે સવારે ગમખ્વાર દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા હતા અને અન્ય ૩૫ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધવાની દહેશત છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જયપુરથી ફરુખાબાદ તરફ જઇ રહેલી ડબલ ડેકર યાત્રી બસ અનિયત્રિત થઇને પલટી ખાઇ ગઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી ત્રણની હાલત હજુ ગંભીર દર્શાવવામાં આવી રહી છે. આ બનાવ સવારે દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. પોલીસે પ્રાથમિકત તપાસ બાદ કહ્યુ છે કે ૧૭ લોકોના મોત તો થઇ ચુક્યા છે. ઘાયલોની સંખ્યા ૩૫ જેટલી આંકવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. જ્યારે સુરક્ષિત રહેલા બીજા યાત્રીઓને અન્ય બસ મંગાવીને રવાના કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત બસ રાજસ્થાનના જયપુરથી ફરુકાબાદ તરફ જઇ રહી હતી. મૈનપુરીના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસે માહિતી આપતા કહ્યુ હતુ કે દુર્ઘટનાગ્રસ્ત બસમાં ૬૦-૭૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. મૈનપુરી-ઇટાવાહ રોડ પર જિલ્લા હેડ ક્વાર્ટસથી ૨૫ કિલોમીટરના અંતરે સ્થિત તિરથપુર ગામમાં ડિવાઇડર સાથે બસ ટકરાઇ ગયા બાદ બસ પલટી ખાઇ ગઇ હતી. બસના ડ્રાઇવરને પણ પગમાં ઇજા થઇ છે. તે ડાબા પગને ગુમાવી ચુક્યો છે. તે હાલમાં સૈફાઇ ખાતે સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ કરવામાં આવી નથી. અકસ્માતના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ