વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંગદાઓમાં ૧૮મી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં પોતાના સંબોધનમાં ચીનને ઇશારામાં સ્પષ્ટ બોધપાઠ ભણાવવાનો સંકેત આપ્યો હતો. સમિટના પ્લેનરી સેશનમાં મોદીએ આર્થિક વિકાસ, એસસીઓ દેશોની વચ્ચે એકતા અને કનેક્ટીવીટી ઉપર ભાર મુક્યો હતો. કનેક્ટીવીટી પર ભાર મુકતા મોદીએ કહ્યું હતું કે, ભારત કોઇપણ એવા પ્રોજેક્ટનું સ્વાગત કરશે જે તમામ સભ્ય દેશોની ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરે છે એમ કહીને મોદીએ ચીનની વન બેલ્ટ વન રોડ પોલિસીની ઝાટકણી કાઢી હતી. જે હેઠળ તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં નિર્માણ કામ કરી રહ્યું છે. ભારત આ ક્ષેત્રના વિવાદાસ્પદ હોવાના દાવા કરીને પ્રોજેક્ટનો વિરોધ કરી ચુક્યું છે. સંબોધનમાં મોદીએ સિક્યોરની નવી પરિભાષા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એસ ફોર સિક્યુરિટી ઓફ સિટીઝન, ઇ ફોર ઇકોનોમીક ડેવલપમેન્ટ, સી ફોર કનેક્ટીવીટી, યુ ફોર યુનિટ, આર ફોર રિસ્પેક્ટ, ઇ ફોર ઇન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે. ટ્રાન્સફર કોરિડોર મારફતે એક દેશથી બીજા દેશને જોડવાને લઇને મોદીએ કહ્યું હતું કે, કનેક્ટીવીટીનો અર્થ માત્ર ભૌગોલિક કનેક્શન નહીં બલ્કે એકબીજાના નાગરિકોના કનેક્શન પણ છે. મોદીએ કહ્યું હતું કે, ભારત એવા કોઇપણ પ્રોજેક્ટનું સ્વાગત કરશે જે ટકાઉ અને પારદર્શી છે. મોદીના આ નિવેદનથી ચીનને પરોક્ષરીતે ઠપકો આપી દેવામાં આવ્યો છે. મોદીએ કહ્યું હતું કે, ક્ષેત્રિય આર્થિક વિકાસ માટે કનેક્ટીવીટી ખુબ જરૂરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અમે ફરીથી એક સ્ટેજમાં જઇ રહ્યા છે જ્યાં ભૌતિક અને ડિજિટલ કનેક્ટીવીટી ભુગોળની પરિભાષાને બદલે છે જેથી એસસીઓ ક્ષેત્રમાં કનેક્ટીવીટી અમારી પ્રાથમિકતા છે.
આગળની પોસ્ટ