શહેરના સાબરમતી વિસ્તારમાં આજે જોટાણાની ચાલી ખાતે એક મકાનના રીપેરીંગ કામકાજ દરમ્યાન દિવાલ ધરાશાયી થતાં તેમાં એક કોન્ટ્રાકટર અને મજૂર મળી બે વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા. આ બનાવમાં અન્ય એક વ્યકિતને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે સાબરમતી પોલીસે જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, દિવાલ પડવાથી બે મજૂરોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. મજૂરોના મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી જોટાણાની ચાલી ખાતે એક મકાનમાં રીપરીંગ કામ ચાલી રહ્યું હતું, તે દરમ્યાન અચાનક જ દિવાલ ધરાશાયી થઇ જતાં ત્યાં કામ કરી રહેલાં બંને મજૂરો અને કોન્ટ્રાકટર દિવાલના કાટમાળમાં દબાઇ ગયા હતા. કાટમાળ પડવાથી અને તેની નીચે દટાઇ જવાથી બંને મજૂરો અને કોન્ટ્રાકટરને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં કોન્ટ્રાકટર અને એક મજૂર મળી બે જણાંના કરૂણ મોત નીપજયા હતા. બનાવને પગલે વિસ્તારના સ્થાનિક રહીશો અને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. સાબરમતી પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી તપાસ હાથ ધરી હતી. જો કે, બનાવમાં બે મજૂરોના કરૂણ મોતના સમાચાર જાણી ઘટનાસ્થળે ઉમટેલા લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. મકાનનો કાટમાળ ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવાઇ હતી અને દટાયેલા મજૂર-કોન્ટ્રાકટરને બહાર કાઢવામાં આવ્યા હતા.
આગળની પોસ્ટ