વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘાતકી હત્યા કરવા માટેનું કાવતરું ઘડાયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. માઓવાદીઓ દ્વારા મોદીની રાજીવ ગાંધીની જેમ હત્યા કરવા માટેનું કાવતરું ઘડી કાઢ્યું હતું. ભીમા-કોરેગાંવમાં જાન્યુઆરીમાં થયેલી હિંસામાં પાંચ લોકોની ધરપકડ બાદ આ ચોંકાવનારી વિગતો ખુલી છે.
પુણે પોલીસને એક આરોપીના ઘરથી એવો પત્ર મળ્યો છે જેમાં રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં વડાપ્રધાન મોદીને ટાર્ગેટ બનાવવાની વાત કરવામાં આવી છે. પોલીસે બુધવારના દિવસે રોના જેકબ, સુધીર ઢાવલે, સુરેન્દ્ર ગાડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેકબ વિલ્સનની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઢાવલેને મુંબઈમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ગાડલિંગ અને સોમા સેન અને મહેશ રાવતને નાગપુરમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આ પત્ર વિલ્સનના દિલ્હીના મુનેરકા સ્થિત ફ્લેટમાંથી કબજે કરવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મોદી ૧૫ રાજ્યોમાં ભાજપનું શાસન સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે જો એમ જ ચાલશે તો તમામ મોરચા પર પાર્ટી માટે પરેશાની ઉભી થઇ જશે. કોમરેડ કિશન અને અન્ય કેટલાક સિનિયર કોમરેડે મોદી રાજને ખતમ કરવા માટે કેટલાક મજબૂત પગલાનું સૂચન કર્યું હતું. રાજીવ ગાંધીની જેમ હત્યા કરવાની યોજના પર કામ કરવામાં આવ્યું હતું. પાર્ટી પ્રસ્તાવને લઇને વિચારણા કરે તેમ પણ વાત કરવામાં આવી હતી. રોડ શો દરમિયાન મોદીને ટાર્ગેટ બનાવવાની નીતિ અસરકારક બની શકે છે. પાર્ટીનું અસ્તિત્વ કોઇપણ પ્રકારના ત્યાગથી ઉપર છે.
સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ આ સંદર્ભમાં કહ્યું છે કે, હજુ સુધી સુરક્ષા સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે. નેતાઓની સુરક્ષાની જવાબદારી તેમની જ રહેલી છે જેથી કોઇ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટા છે તેમ તેઓ કહેવા માંગતા નથી પરંતુ મોદીની આ જુની યોજના પણ રહેલી છે. જ્યારે પણ તેમની લોકપ્રિયતામાં ઘટાડો થતો હતો ત્યારે તેમની હત્યાના કાવતરાના અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા હતા. આ વખતે અહેવાલ કેટલા સાચા છે તેમાં પણ તપાસ થવી જોઇએ. આરોપીઓને ભીમા-કોરેગાંવમાં પહેલી જાન્યુઆરીના દિવસે થયેલી હિંસાથી એક દિવસ પહેલા પકડી પાડવામાં આવ્યા હતા. તેમના ઉપર પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી) સાથે જોડાયેલા હોવા, વિવાદાસ્પદ પત્રો વહેંચવા, નફરત ફેલાવવાના ભાષણ આપવાનો આક્ષેપ છે. પોલીસે ગુરુવારના દિવસે તેમને સેશન કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી તેમને ૧૪મી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા વકીલ ઉજ્જવલા પરમારે કહ્યું છે કે, વિલ્સનના આવાસથી જે પત્ર મળ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, એમ-૪ રાયફલ અને હથિયાર ખરીદવા માટે આઠ કરોડ રૂપિયાની જરૂર છે. ગુરુવારના દિવસે જ જોઇન્ટ પોલીસ કમિશનર રવિન્દ્ર કદમે કહ્યું હતું કે, વિલ્સનના આવાસથી મળી આવેલો પત્ર સીપીઆઈએમ સાથે જોડાયેલા મિલિંદ તેલતુમ્ડે દ્વારા મોકલવામાં આવ્યો હતો.