ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. સવારે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આવતીકાલે જ માર્કશીટ અને પ્રમાણપત્રોનું વિતરણ પણ જિલ્લા વિતરણ સ્થળો ઉપર સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરાયું હતું જ્યારે ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ ૨૮મી મેના દિવસે જાહેર કરાયું હતું. હવે આવતીકાલે સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. લાખો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે. પરિણામ આવતીકાલે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૨૮મી મેના દિવસે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ હતું. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ હતું. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ હતું. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ હતું. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક મેળવી લેનાર સ્કુલોની સંખ્યા ૩૬૮ રહી હતી.. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યુ હતું. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યુ હતું. આવી જ રીતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સેમેસ્ટર પ્રથાને રદ કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ હતું. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૫.૨૪ ટકા જાહેર કરાયું હતુ. અમદાવાદ જિલ્લાનુ પરિણામ ૮૨.૧૭ ટકા જાહેર કરાયું હતુ.
આગળની પોસ્ટ