ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે અયોધ્યામાં રામ મંદિરનો કેસ હિન્દુઓની તરફેણમાં જ આવશે તથા સાથે સાથે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની પણ નાબૂદી થશે. સ્વામીએ મદન મોહન માલવીયને ઘરવાપસીના જનક તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, જે લોકો ગેરમાર્ગે દોરાઈને ભટકી ગયા છે અને કોઇ કારણસર બીજા સમુદાયમાં જતા રહ્યા છે તેમને વાપસી માટેનો રસ્તો ખુલવો જોઇએ. માલવીય મિશન તરફથી લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, રામ મંદિરને લઇને મુસ્લિમ પક્ષથી લઇને કોંગ્રેસના વકીલ સુધી પ્રોપર્ટીના અધિકારની દલીલો કરી રહ્યા છે. આ ખુબ જ સામાન્ય અધિકાર છે. તેઓ પોતે પૂજાના બંધારણીય અધિકાર હેઠળ સુપ્રીમમાં પહોંચ્યા છે. ભગવાન રામનું મંદિર તેમના જન્મસ્થળ પર જ બનશે. નમાઝ તો જાહેર રસ્તા પર પણ વાંચી શકાય છે જેથી સુપ્રીમ કોર્ટે જુલાઈ મહિનાથી રામ મંદિરની સુનાવણી ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યો છે.
આગળની પોસ્ટ