કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાંની સાથે જ રાજકીય પક્ષો પોતાના સમીકરણો બેસાડવામાં લાગી ગયા છે. પરિણામ આવવા આડે હજુ બે દિવસ બાકી છે ત્યારે એક્ઝિટ પોલમાં કિંગમેકર તરીકે દેખાઈ રહેલા જનતાદળ એસ દ્વારા ગઠબંધનના સંકેત આપી દીધા છે. જેડીએસના વડા એચડી દેવગૌડાએ કહ્યું છે કે, હાલમાં તેઓ કોઇપણ બાબતને સ્વીકારવા માટે અથવા તો ફગાવવા માટે તૈયાર નથી. ૧૫મી મેના દિવસે મતગણતરી થયા પછી જ કોઇ નિર્ણય લઇ શકાશે. દેવગૌડા તરફથી કરવામાં આવેલું આ નિવેદન સંકેત આપે છે કે, તેઓ ગઠબંધન સરકારનો હિસ્સો બની શકે છે. આ પહેલા ચૂંટણી દરમિયાન અનેક વખત કહી ચુક્યા છે કે, જેડીએસ કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. શનિવારના દિવસે મતદાન પૂર્ણ થઇ ગયા બાદ જારી કરવામાં આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનું અંત નહીવત દેખાઈ રહ્યું છે. જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં ઉભરી રહ્યું છે. આ દ્રષ્ટિથી દેવગૌડાનું નિવેદન ખુબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે, હાલમાં તેઓ કોઇપણ પ્રસ્તાવને સ્વીકાર કરવા અથવા તો ફગાવી દેવાની સ્થિતિમાં નથી. કર્ણાટકમાં ઉંચુ મતદાન થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્ણાટકમાં ૭૦ ટકા મતદાન થયું છે. જુના મૈસુર વિસ્તાર, મધ્ય અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઉંચા મતદાન બાદ રાજકીય પંડિતો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ માને છે કે, ઉંચુ મતદાન જીત અપાવશે. વોકાલિગા સમુદાયમાં પ્રભાવ ધરાવનાર માંડ્યા અને હાસન જિલ્લાને છોડી દેવામાં આવે તો તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. મૈસુરમાં ૭૦ ટકા મતદાન થયું હતું. દક્ષિણ કન્નડ, ઉડુપ્પી અને ઉત્તર કન્નડને મળીને એક થતાં દરિયાકાંઠાના કર્ણાટકમાં ૭૩ ટકા મતદાન થયું છે. દક્ષિણ કન્નડમાં ૭૨ ટકા, ઉડુપ્પીમાં ૭૫ ટકા મતદાન થયું છે.