બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના મોતના મામલામાં તપાસ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી કરનારાઓએ શ્રીદેવીના મોતની સ્થિતિને શંકાસ્પદ તરીકે ગણાવીને તપાસની માંગ કરી હતી. અરજી એક ફિલ્મ નિર્માતા સુનિલ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જે સંજોગોમાં અને પરિસ્થિતિમાં શ્રીદેવીનું મોત થયું છે તેમાં તપાસ થવી જોઇએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ આ અરજીને ફગાવી દીધી હતી. અરજી કરનારાઓએ દાવો કર્યો હતો કે, શ્રીદેવીના નામ ઉપર ઓમાનમાં ૨૪૦ કરોડ રૂપિયાની ઇન્સ્યોરન્સ પોલિસી જારી થઇ હતી જેનો લાભ માત્ર દુબઈમાં મોત થવાની સ્થિતિમાં જ મળે તેવું હતું. આવી સ્થિતિમાં શ્રીદેવીના મોતને લઇને શંકા રહેલી છે. અરજી કરનારાઓએ પણ દલીલ આપી હતી કે, પાંચ ફૂટ સાત ઇંચની ઉંચાઈ ધરાવતી શ્રીદેવી પાંચ ફુટના ટબમાં કઈ રીતે ડુબી શકે છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ૨૪મી ફેબ્રુઆરીના દિવસે શ્રીદેવીનું દુબઈમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. શ્રીદેવી એક પારિવારીક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી હતી. કાર્યક્રમ બાદ સમગ્ર પરિવારના સભ્યો મુંબઈ તરફ ફરી રહ્યા હતા પરંતુ શ્રીદેવી ત્યાં શોપિંગ કરવા માટે રોકાઈ હતી. ત્યારબાદ તેના મોતના અહેવાલ આવ્યા હતા. ત્રણ દિવસ બાદ શ્રીદેવીના અંતિમ સંસ્કાર તેના મૃતદેહને મુંબઈ લાવ્યા બાદ મુંબઈમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યું હતું. શ્રીદેવીના અવસાનને લઇને બોલીવુડના તમામ લોકોમાં અને સામાન્ય ચાહકોમાં પણ ચર્ચા રહી છે. તેના મોતના મુદ્દે વિશેષ ચર્ચા રહી હતી.