કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિરોધીઓ દ્વારા રોજગારીને લઇને કરવામાં આવી રહેલા પ્રહાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ટીમને રોજગારીના આંકડા અંગે માહિતી મેળવીને ઉપલબ્ધ કરાવવા કડક સૂચના આપી દીધી છે. તેમના શાસન હેઠળના ગાળામાં ચાર વર્ષમાં કેટલી નોકરીની તકો ઉભી કરવામાં આવી છે તે અંગેના આંકડા આપવા તમામ સંબંધિત વિભાગોને મોદીએ સૂચના આપી દીધી છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ પરિબળ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. વડાપ્રધાને તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેક્ટો અને કાર્યક્રમો અંગે વિસ્તૃત મોડ તૈયાર કરવા મંત્રાલયોને સૂચના આપી દીધી છે. મોદીએ જીડીપી ગ્રોથ પર જુદા જુદા કાર્યક્રમોની અસર અંગે પણ વાત કરવા કહેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, રોજગારીના આંકડા પણ લોકો સુધી પહોંચે તેની જરૂર છે. સરકારના રિપોર્ટ કાર્ડમાં જોબ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. દર વર્ષે એક કરોડ લોકોને રોજગારી આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે તેવા આક્ષેપોનો સામનો કરવા સંબંધિત મંત્રાલયોને કહેવામાં આવ્યું છે. ૨૦૧૪ના ચૂંટણી દેખાવનું પુનરાવર્તન કરવા તેમના માટે રોજગારીના આંકડા મહત્વપૂર્ણ રહેશે. ત્રણ દશકમાં સૌથી પ્રચંડ જનમત મેળવીને મોદી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી હતી. વડાપ્રધાનની કચેરીના પ્રવક્તાએ કહ્યું છે કે, હજુ સુધી તેઓ કોઇ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. મોદી ૨૬મી મેના દિવસે સત્તામાં ચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ચૂંટણી યોજાનાર છે. કેટલાક વર્ગોમાં તેમની લોકપ્રિયતાને અસર થઇ છે પરંતુ મોદી હજુ પણ લોકોમાં લોકપ્રિય રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ